![]()
Jamnagar Police : જામનગરના સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીના ઘરેણાનો શોરૂમ ધરાવતા સોની વેપારી પોતાના રૂપિયા સાડા છ લાખના દાગીના ભરેલું પાકીટ એક રિક્ષામાં ભૂલી ગયા હતા. પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અંતર્ગત રિક્ષાચાલકને શોધી કાઢ્યા બાદ વેપારીને તેના સોના ચાંદીના દાગીના પરત અપાવ્યા હતા જેથી વેપારીએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.
જામનાગરના સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના માંડવી ટાવર પાસે બાલકૃષ્ણ જવેલર્સ નામે દુકાન ચલાવતા પ્રશાંત ભુપેન્દ્રભાઇ માંડલીયા ગઈ કાલે સવારે 11:45 વાગ્યાની આસપાસ એક રીક્ષામાં પોતાની બાલકૃષ્ણ જવેલર્સ નામની દુકાન ખાતે સોનાના દાગીના વાળું પાકીટ (બેગ) લઇને આવતા હતા. તે દરમ્યાન મોબાઇલમાં વાતચીત કરી રીક્ષા ચાલકને ભાડું દઇને પોતાની દુકાનમાં ચાલ્યા ગયા હતા અને પોતાનું સોનાના દાગીનાવાળું બેગ રીક્ષામાં ભુલી ગયા હોય જે બેગમાં એક સોનાની વીંટી તથા એક માળા તથા એક જોડી બુટી જે દાગીનાઓનો વજન આશરે 70 ગ્રામ જેની આશરે કિ.રૂ.6,50,000 જેટલી થાય છે.
જેથી તેમણે સિટી એ. ડિવિઝન પોલિસ સ્ટેશનનો સંર્પક કર્યો હતો, અને ઉપરોકત હકિકત જણાવતા તુરંત જ સર્વેલન્સ સ્ટાફના તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) જામનગરની પોલીસ ટીમ દ્વારા માડવી ટાવર, ચાંદીબજાર, અંબર ચોક, ડી.કે.વી સર્કલ, બેડેસ્વર ચોકડી તથા ધુવાવ ગામ વિસ્તારના અલગ-અલગ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા તથા હ્યુમન રીસોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસથી જી.જે. 03 સી.ટી.0838 રીક્ષાને શોધી કાઢી હતી, અને તે રીક્ષા ચાલક પાસેથી બેગ(પાકીટ) મેળવીને અરજદારનું બેગ(પાકીટ) તથા તેમા રહેલ સોનાની માળા તથા વીંટી અને એક જોડી કાનની બુટી આશરે 70 ગ્રામ કિ.રૂ.6,50,000 ના દાગીના શોધી પરત અપાવ્યા છે, જેથી સોની વેપારીએ સિટી એ. ડિવિઝન પોલીસનો આભાર માન્યો હતો.















