![]()
વડોદરાઃ ખેડૂતો દ્વારા ઉગાડાતા શાકભાજી અને ફળોના ખેડૂતોને જે ભાવ મળે છે તેના કરતા પાંચ ગણી કિંમતે આ જ શાકભાજી અને ફળો શહેરોમાં વેચાય છે.વચેટિયાઓ જ મોટાભાગનો નફો લઈ જતા હોય છે.આ સમસ્યા તો ઘણી જૂની છે અને ખેડૂતોનું શોષણ હજી પણ અટકયું નથી.
હવે ઉન્નત ભારત અભિયાન હેઠળ એમ.એસ.યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા ખેડૂતોને સીધા જ શહેરમાં શાકભાજી વેચવા માટેનું પ્લેટફોર્મ પૂરુ પાડવા માટેના પ્રયાસો શરુ થયા છે.આ અભિયાન સાથે સંકળાયેલા પોલીટેકનિકના અધ્યાપક ડો.આશિષ ગુરુજીનું કહેવું છે કે, પાયલોટ પ્રોજેકટના ભાગરુપે અમે ચાર મહિનામાં ત્રણ વખત વડોદરા નજીકના લિંગસ્થળી ગામના ખેડૂતના ૨૦૦ કિલો શાકભાજી પોલીટેકનિક અને મેનેજમેન્ટ ફેકલ્ટીમાં સીધા અધ્યાપકો અને કર્મચારીઓને વેચી ચૂકયા છે.હવે વડોદરા નજીકના પાંચ ગામ પરખ, ખાનપુર, લિંગસ્થળી, મેનપુરા, સુલતાનપુરાના ખેડૂતોને પણ આ જ પ્રકારનું પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે.સાથે સાથે ખેડૂતો માટે તા.૯ માર્ચે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં નેચરલ ફાર્મિંગની જાણકારી આપવા વર્કશોપનું આયોજન કરાયું છે.
ઉન્નત ભારત અભિયાન હેઠળ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ તથા એનએસએસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ ગામડાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ, ખેતીની સ્થિતિ, રોજગારી તથા ઉર્જાના વિકલ્પો પર સર્વે હાથ ધરી રહ્યા છે.ગત રવિવારે તેમણે ખાનપુરા અને લિંગસ્થળી ગામની મુલાકાત લીધી હતી અને ૩૦૦ ઘરોનો સર્વે કર્યો હતો.જેમાં ખેડૂતોની આવક કેવી રીતે વધી શકે તેની જાણકારી અપાઈ હતી.















