![]()
Ahmedabad Vatva News : અમદાવાદના વટવામાં એક 72 વર્ષીય વૃદ્ધાએ તેમની 17-18 વર્ષથી બીમારીથી કંટાળીને મોતને વ્હાલું કર્યું છે. 72 વર્ષીય એક વૃદ્ધાએ ગંભીર બીમારીથી કંટાળીને પોતાની જાતને થાંભલા સાથે બાંધીને જ્વલનશીલ પદાર્થ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેક થઈ ગઈ હતી. મૃતક ગૌરીબેન કોળી પટેલ નામના આ વૃદ્ધાએ પોતાની જ ઘરની બહાર આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ છે. વર્ષોથી ચાલતી શારીરિક બીમારી અને એકલવાયા જીવનને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગત 2 માર્ચના રોજ સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગૌરીબેને પોતાના ઘરની બહાર રહેલા એક થાંભલા સાથે દોરડા વડે પોતાની જાતને બાંધી દીધી હતી. ત્યારબાદ તેમણે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને તેમની દીકરી સૂર્યાબેન સ્થળ પર પહોંચી ગયા હતા. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ગૌરીબેન છેલ્લા 17-18 વર્ષથી હરસ-મસા અને આંતરડાના ગંભીર ઇન્ફેક્શનની બીમારીથી પીડાતા હતા, જેનો કોઈ ઉકેલ આવતો ન હતો. તેમના પતિના અવસાનને પણ 18-19 વર્ષ વીતી ગયા હોવાથી તેઓ સાવ એકલા રહેતા હતા. સતત બીમારી અને એકલતાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. પોલીસે તેમના મેડિકલ રિપોર્ટ, દવાઓ અને પાડોશીઓના નિવેદનો લઈને તપાસ હાથ ધરી છે. જોકે, પરિવારે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કે પોસ્ટમોર્ટમ કરાવવાની મનાઈ કરી એફિડેવિટ આપી છે, છતાં પોલીસ પોતાની રીતે તપાસ ચલાવી રહી છે.















