![]()
Saudi Arab to Ahmedabad Flight News : મિડલ ઈસ્ટમાં વણસી રહેલી યુદ્ધની સ્થિતિ અને વધતા જતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં ઉમરાહની પવિત્ર યાત્રાએ ગયેલા 210 જેટલા ગુજરાતીઓ ગઈકાલે મોડી રાતે સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. લાંબા સમયથી ભય હેઠળ વિતાવેલા દિવસો બાદ, ગત મોડી રાત્રે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોનું આગમન થતા જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભારત સરકાર અને વિદેશ મંત્રાલયના સઘન પ્રયાસોને પરિણામે આ તમામ નાગરિકો હેમખેમ પોતાના પરિવાર પાસે પહોંચી શક્યા છે, જેથી સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
મળતી માહિતી મુજબ, આ ઓપરેશન અંતર્ગત કુલ 210 મુસાફરો પરત ફર્યા છે, જેમાંથી 205 મુસાફરો જેદાહથી સીધા જ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 8623 મારફતે રાત્રે 11:00 વાગ્યાની આસપાસ અમદાવાદ રનવે પર ઉતર્યા હતા. જ્યારે અન્ય 5 મુસાફરો દુબઈથી રિલીફ ફ્લાઈટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેનથી સુરત પરત ફર્યા હતા. એરપોર્ટ પર ઉતરેલા લોકોએ જણાવ્યું હતું કે, યુદ્ધની સ્થિતિને કારણે ફ્લાઈટો બંધ થઈ જવાથી અને હોટલના ભાડા વધતા તેઓ ભારે તણાવમાં હતા. જોકે, ટૂર ઓપરેટર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને આ ફ્લાઈટની જાણકારી મળી હતી, જે તેમના માટે મુશ્કેલ સમયમાં આશીર્વાદ સમાન સાબિત થઈ હતી.
એરપોર્ટના ટર્મિનલ પર મુસાફરોના સ્વાગત માટે મોટી સંખ્યામાં પરિવારજનો અને મિત્રો ફૂલહાર લઈને ઉમટી પડ્યા હતા. માતા-પિતા અને બાળકો એકબીજાને ભેટી પડતા વાતાવરણમાં ભાવુક થઈ ગયું હતું. પરત ફરેલા લોકોએ તેમના અનુભવો વિશે કહ્યા હતા. મુસાફરોએ કપરા સમયે મદદરૂપ થવા બદલ ભારત સરકાર, વિદેશ મંત્રાલય, સ્થાનિક ધારાસભ્યો અને હજ કમિટીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.















