– ત્રણ પક્ષોના અધ્યક્ષોએ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી રેકોર્ડ સર્જ્યો
– ભાજપના નીતિન નબિન, શિવેશ કુમાર, આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા, જદયુના રામાનથ ઠાકુરે ઉમેદવારી નોંધાવી
– રાજ્યસભામાં જવાની નીતિશની જાહેરાત પછી જદયુમાં કાર્યકરોનો બળવો, પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહાને ઘેર્યા, પૈતૃક ગામમાં પણ વિરોધનો વંટોળ
નવી દિલ્હી : બિહારમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદ સંભાળનારા નીતિશ કુમારે ગુરુવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે બિહારમાં લાલુપ્રસાદ યાદવ પછી હવે બે દાયકા જેટલો લાંબો નીતિશ યુગ પણ ખતમ થયો છે. જદયુ અધ્યક્ષ નીતિશ કુમાર સાથે ભાજપ અધ્યક્ષ નીતિન નબીન અને આરએલએમ પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ ગુરુવારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરતા બિહારમાં એક જ દિવસે ત્રણ પક્ષપ્રમુખોએ ઉમેદવારી નોંધાવી રેકોર્ડ સર્જ્યો હતો. બિહારમાં બધી જ પાંચ બેઠકો પર એનડીએના ઉમેદવારોએ ફોર્મ ભરવા છતાં વિપક્ષ રાજદના અમરેન્દ્ર ધારી સિંહે પણ ઉમેદવારી ફોર્મ ભરી રાજ્યસભામાં ચૂંટણી યોજાવાનું નિશ્ચિત કર્યું છે.
બિહારમાં મુખ્યમંત્રીપદ છોડીને રાજ્યસભામાં જવાની નીતિશ કુમારની જાહેરાત સાથે જ બિહારના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું છે. મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમારે વર્ષ ૨૦૦૫થી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી છે. ગયા વર્ષે તેઓ વિક્રમી સતત ૧૦મી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે કહ્યું કે, તેમની વિદાય પછી બનનારી નવી સરકારને તેમનો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન હશે.
નીતિશ કુમારે એક્સ પર લખ્યું કે, બે દાયકા કરતાં વધુ સમય સુધી તમે મારામાં વિશ્વાસ મૂક્યો અને મને સાથ આપ્યો તે બદલ આપ સૌનો આભાર. તેમણે ઉમેર્યું કે, તેમના રાજકીય પ્રવાસની શરૂઆતથી જ તેઓ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવા માગતા હતા. મારી આ મહેચ્છા પૂરી કરવા આ વખતે મેં રાજ્યસભાની ચૂંટણીમાં ઝુકાવવાનો નિર્ણય કર્યો હતો.
પટનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજ્યસભામાં ઉમેદવારી ફોર્મ ભર્યા પછી તેમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, નીતિશ કુમારનું રાજકીય જીવન કલંકરહિત રહ્યું છે અને મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ હંમેશા યાદ રખાશે. નીતિશ કુમાર હવે રાષ્ટ્રીય રાજકારણમાં નવી ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. તેઓ હંમેશા જયપ્રકાશ નારાયણના સિદ્ધાંતો પર ચાલનારા નેતા રહ્યા છે. બિહારને જંગલરાજમાંથી બહાર લાવવામાં નીતિશ કુમારની ભૂમિકા મહત્વની રહી. તેમના નેતૃત્વમાં બિહારમાં અનેક મોટા પરિવર્તન થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે એનડીએના અન્ય ચાર ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. નીતિશ કુમારે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સિવાય ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, આરએલએમના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, ભાજપ અધ્યક્ષ નીતિન નબિન અને બિહારમાં મહામંત્રી શિવેશ કુમાર તેમજ જદ-યુ નેતા રામનાથ ઠાકુરે પણ રાજ્યસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. રાજ્યસભામાં જદયુના હરિવંશ નારાયણ સિંહ અને રામનાથ ઠાકુર, રાજદના પ્રેમ ચંદ ગુપ્તા અને અમરેન્દ્ર ધારી સિંહ તથા આરએલએમના ઉપેન્દ્ર કુશવાહાનો કાર્યકાળ પૂરો થતાં ચૂંટણી યોજાશે. રાજદના અમરેન્દ્રધારી સિંહે ફરીથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરતા બિહારમાં ૧૬ માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. બિહારમાં રાજ્યસભામાં એક બેઠક જીતવા ૪૧ ધારાસભ્યોના મતની જરૂર હોય છે. હાલમાં ૨૪૩ સભ્યોની વિધાનસભામાં એનડીએ પાસે ૨૦૨ બેઠકો હોવાથી બધી જ પાંચ બેઠકો તેઓ જીતી જાય તેવી શક્યતા છે.
દરમિયાન બિહારમાં નીતિશ કુમારની રાજ્યસભામાં જવાની જાહેરાતથી જનતા દળ યુનાઈટેડમાં હોબાળો મચી ગયો છે. પટનામાં જદયુની ઓફિસ બહાર કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાનો ઘેરાવ કર્યો હતો. વધુમાં નીતિશ કુમારના પૈતૃક ગામ કલ્યાણ બિગહામાં પણ લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, જનતાએ નીતિશ કુમારના ચહેરા પર વોટ આપ્યા હતા.
નીતિશના પુત્ર નિશાંતની રાજકારણમાં એન્ટ્રનની તૈયારી
બિહારમાં પહેલી વખત ભાજપ માટે મુખ્યમંત્રીપદનો તખ્તો તૈયાર
– ભાજપના સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ, નિશાંતને નાયબ સીએમ બનાવાય તેવી શક્યતા
પટના : બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ તેમના પુત્ર નિશાંત કુમારની સક્રિય રાજકારણમાં પ્રવેશની તૈયારી થઈ ગઈ છે. આ સાથે બિહારમાં પહેલી વખત ભાજપ માટે મુખ્યમંત્રીપદનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીપદ સંભાળે તેવી શક્યતા છે જ્યારે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની વિદાય નિશ્ચિત થઈ જતા હવે નવી સરકારની રચનાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ ધારાસભ્યોની બેઠક બોલાવાશે. નીતિશ કુમારની વિદાય સાથે જ ભાજપમાં પહેલી વખત બિહારમાં મુખ્યમંત્રીપદ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે. ભાજપમાં વર્તમાન નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ છે. આ સિવાય નિત્યાંનદ રાય અને દિલિપ જયસ્વાલના નામ પણ ચર્ચાઈ રહ્યા છે.ભાજપ સંગઠન અને રાજ્યના રાજકારણમાં આ ત્રણેય નેતાઓનો પ્રભાવ મહત્વપૂર્ણ મનાય છે. પટનામાં એનડીએના ઉમેદવારોએ રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જદયુના રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ એક જ ફ્લાઈટમાં નવી દિલ્હી રવાના થયા હોવાથી તેમની વચ્ચે બિહારના આગામી મુખ્યમંત્રી અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે.
એનડીએએ ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના ચહેરા પર લડી હતી. જોકે, હવે ૭૫ વર્ષના નીતિશ કુમારે ૫૦ વર્ષના એન્જિનિયર પુત્ર નિશાંત કુમાર માટે નાયબ મુખ્યમંત્રી પદના બદલામાં ભાજપને સત્તા સોંપવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. નીતિશ કુમારની જેમ જ નિશાંતને પણ વિધાન પરિષદના માર્ગે ગૃહમાં લવાય અને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. હોળીની પૂર્વ સંધ્યાએ જ ભાજપના નેતા વિજય કુમાર ચૌધરીએ દાવો કર્યો હતો કે નીતિશકુમારના પુત્ર નિશાંત ટૂંક સમયમાં જ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. જોકે, તેમણે નીતિશ કુમારના મુખ્યમંત્રીપદ છોડવાની સ્થિતિમાં તેમનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે કશું કહ્યું નહોતું, પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી હોવાનું રાજકીય નિરિક્ષકોનું કહેવું છે.















