– ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરતા સપ્તાહથી ભારે તંગદિલી
– ભારતના હજારો ટન કેળા, દ્રાક્ષ, દાડમ, તરબુચ સપ્તાહથી ખાડી દેશોના પોર્ટો પર પડયા છે, ખેડૂતોએ સરકારની મદદ માગી
નવી દિલ્હી/દુબઇ : અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાનના વડા અલી ખામેનેઇના મોતને પગલે ઇરાને આક્રામક રીતે વળતા પ્રહારો કર્યા છે. એટલુ જ નહીં સમુદ્રી વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ ખાડીને ઇરાને બંધ કરી દીધી છે. જેથી ભારતનો વેપાર પણ અટકી પડયો છે. કૃષિ પ્રોડક્ટ્સના એક હજારથી વધુ કન્ટેનર દુબઇના જેબલ અલી પોર્ટ પર ફસાયેલા પડયા છે. છેલ્લા એક સપ્તાહથી વેપાર થંભી ગયો હોય તેવી સ્થિતિ છે, કૃષિ પેદાષોના કન્ટેનરો ફસાતા ભારતના ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
જે પણ ભારતીય કન્ટેનરો ફસાયા છે તેમાં વિવિધ ફળો જેમ કે કેળા, દ્રાક્ષ, દાડમ, તરબુચ ઉપરાંત ડુંગળી સહિતના શાકભાજી પણ ફસાયેલા પડયા છે. આ તમામ વસ્તુઓ ભારતીય ખેડૂતો દ્વારા વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. હાલ ખાડી દેશોનો બધો વેપાર અટવાઇ ગયો હોવાથી ભારતને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, ૨૮ ફેબુ્રઆરીથી આવી તમામ વસ્તુઓ અટવાયેલી હોવાથી હવે તે ખરાબ થવા લાગી છે. ખાડી દેશોમાં રમઝાન દરમિયાન ફળો, શાકભાજી વગેરેની માગણી વધુ હોય છે એવા સમયે આ કન્ટેનરો અટવાયેલા પડયા છે. જોકે ઇરાને હોર્મોઝની ખાડીમાંથી રશિયા અને ચીનના કન્ટેનરોની અવર જવર નથી અટકાવી તેથી તે દેશોને નુકસાનની શક્યતાઓ ઓછી છે.
હાલમાં યુદ્ધને કારણે હજારો ટન ફળો પડયા છે જ્યારે હાલ જે ખેડૂતોએ પોતાના ફળો ખાસ કરીને દ્રાક્ષને પકવીને તૈયાર રાખી છે તેને વેચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને મોટું નુકસાન પણ થઇ શકે છે. ભારતના ખેડૂતોની નિકાસ જાણે થંભી ગઇ હોય તેવી સ્થિતિ છે, વિવિધ પોર્ટ પર આશરે પાંચથી છ હજાર ટન દ્રાક્ષ અટવાયેલી પડી છે. જ્યારે ૧૦ હજાર ટન જેટલી દ્રાક્ષ વિદેશ નિકાસના અભાવે ભારે નુકસાની સાથે વેચવી પડી શકે છે. મુંબઇના જવાહરલાલ નેહરુ પોર્ટ પરથી નિકાસ થનારી દ્રાક્ષના ૮૦ કન્ટેનરો ખાલી પડયા છે. ખેડૂતોએ આ પરિસ્થિતિને પહોંચી વળવા અને નુકસાન ભરપાઇ માટે સરકાર સમક્ષ મદદ માગી છે.
રમઝાનમાં ખજૂર, સફરજન, કીવીની આયાત અટવાઇ
માત્ર નિકાસ જ નહીં આયાતને પણ નુકસાન થઇ રહ્યું છે, સફરજન, કીવી, ખડૂર જેવી ખાદ્ય વસ્તુઓના ૬૦૦થી ૭૦૦ કન્ટેનરો ઇરાનના ટાપુઓ પર અટવાયેલા પડયા છે. કીવીના કન્ટેનરનું મૂલ્ય ૩૦થી ૩૨ લાખ રૂપિયા જ્યારે ખજૂરનું મૂલ્ય ૪૫ લાખ રૂપિયા છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ૨૦ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી હતી જોકે ઇરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતા અને યુદ્ધની સ્થિતિને જોતા ૨૦ લાખ ટન નહીં પણ પાંચ લાખ ટન ખાંડ જ માર્કેટ સુધી પહોંચી શકે તેમ છે.
હોર્મુઝ, ફારસ, ઓમાનની ખાડીમાં ભારતના 36 જહાજો રેસ્ક્યૂ કરવા ગુહાર
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે હાલમાં પુરા વિસ્તારમાં પરિસ્થિતિ બહુ જ તંગદીલ છે, ખાસ કરીને હોર્મુઝ ખાડી, ફારસની ખાડી, ઓમાનની ખાડીને સૌથી વધુ જોખમકારક સમુદ્રી ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ભારતીય ઝંડાવાળા ૩૬ જહાજો હાજર છે, જેમાંથી ૨૪ જહાજ હોર્મુઝ ખાડીના પશ્ચિમમાં અને ૧૨ જહાજ પૂર્વી વિસ્તારમાં છે. સદનની ખાડીમાં પણ ત્રણ જહાજ ફસાયા છે. ભારતીય નાવિક સંગઠન ફોર્વર્ડ સીમેન યુનિયને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા નાવિકોને ભારતીય નેવીની સુરક્ષા પુરી પાડવામાં આવે. વિદેશ મંત્રાલય અને નેવી મળીને સંયુક્ત રીતે મદદ કરે.
ભારતીય ક્રૂવાળા જહાજો પર હુમલા વધ્યા, 23 હજાર ભારતીય નાવિકોના જીવ જોખમમાં
દરમિયાન ઇરાન વોર ઝોનમાં ફસાયેલા ૨૩૦૦૦ ભારતીય નાવિકોંનો જીવ જોખમમાં મુકાયો છે, પશ્ચિમ એશિયાના સમુદ્રી વિસ્તારોમાં કામ કરી રહેલા આશરે ૨૩૦૦૦ ભારતીય નાવિકોએ મદદની ગુહાર લગાવી છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતીય જહાજો અથવા ભારતીય ક્રૂવાળા જહાજો પર અનેક હુમલા થઇ ચુક્યા છે.
ત્રણ ભારતીય નાવિકો માર્યા ગયા છે.
આ સ્થિતિ વચ્ચે નાવિક યુનિયનોંના પ્રતિનિધિઓએ મુંબઇમાં અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીય નાવિકોને તાત્કાલીક મદદ પહોંચાડીને બહાર કાઢવાની કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી હતી. પાંચ માર્ચના રોજ સોનાંગોલ નામીબે નામના જહાજ પર ગોળીબાર થયો હતો જેમાં દસ ભારતીય નાવિકો સવાર હતા.















