![]()
– મૃતકના ભાઈએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
– બે ભાઈ બાઈક લઈને નારી ગામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા બાઇક પર જઇ રહેલા આધેડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધ્યો છે.
કુંભારવાડા બાનુબેનની વાડી પાસે રહેતા કાળુભાઈ અરજણભાઈ મેર અને તેના મોટાભાઈ રાઘવભાઈ અરજણભાઈ મેર મોટરસાયકલ નં.જીજે-૦૪-ડીએચ-૪૧૨૮ લઈને તેમના ઘરેથી નારી ગામે જતા હતા ત્યારે નારી ગામે આવેલ મહુલી પાસે પાછળથી કાર નંબર નં.જીજે-૦૫-આરઝેડ-૫૪૨૨ના ચાલકે પોતાનું વાહન લઈને પુરઝડપે બેફીકરાઈથી અને ગફલતભરી રીતે માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી બાઈક સાથે પાછળથી અથડાવી દેતા બન્ને બાઇક સવારને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાઘવભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કાળુભાઈએ કાર ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.















