Tips to check Jaggery Purity at Home: ભારતીય ઘરોમાં ભોજન બાદ ગળ્યું ખાવાની વાત આવે ત્યારે ગોળ હંમેશા પ્રથમ પસંદગી રહે છે. આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ગોળ માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. જોકે, બજારમાં મળતો ચમકતો પીળો ગોળ તમારા સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. અસલી ગોળની ઓળખ કરવા અને ગ્રાહકોને જાગૃત કરવા માટે FSSAI દ્વારા એક સરળ રીત જણાવવામાં આવી છે, જેનાથી તમે ઘરે બેઠા જ તેની શુદ્ધતા તપાસી શકો છો.
આ રીતે કરો શુદ્ધતાની તપાસ
ગોળ શુદ્ધ છે કે ભેળસેળવાળો તે જાણવા માટે એક કાચના ગ્લાસમાં પાણી ભરો અને તેમાં ગોળનો એક નાનો ટુકડો નાખો. જો ગોળ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તો તે શુદ્ધ છે. પરંતુ જો ગ્લાસના તળિયે સફેદ પાવડર કે કોઈ કચરો જમા થાય, તો સમજવું કે તેમાં ચોક પાવડર કે અન્ય હાનિકારક રસાયણો ભેળવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગોળ બનાવવા માટે શેરડીના રસને ઉકાળવામાં આવે છે, પરંતુ વજન વધારવા કે રંગ સુધારવા માટે તેમાં ઘણીવાર ભેળસેળ કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: માતા-પિતાની નાની ભૂલ બાળકને બનાવી શકે છે બીમાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
અસલી ગોળ ઓળખવાના 3 ખાસ નિયમો
માત્ર પાણીના ટેસ્ટથી જ નહીં, પરંતુ ગોળ ખરીદતી વખતે પણ તમે સાવધાની રાખી શકો છો. સૌથી પહેલા તો તેના રંગ પર ન જાઓ; અસલી ગોળનો રંગ હંમેશા ઘેરો ભૂરો(Dark Brown) હોય છે, જ્યારે કેમિકલવાળો ગોળ વધુ પીળો અને ચમકતો દેખાય છે. બીજું, અસલી ગોળ માત્ર કુદરતી રીતે મીઠો જ લાગે છે. જો તેનો સ્વાદ થોડો ખારો કે કડવો લાગે તો તેમાં સોડા કે અન્ય કેમિકલ્સ હોઈ શકે છે. ત્રીજું, અસલી ગોળ તોડવામાં નરમ અને દાણાદાર હોય છે, જ્યારે ભેળસેળિયો ગોળ વધુ પડતો સખત હોય છે.














