![]()
Red Sea & Hormuz Crisis : મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતના વેપાર અને નિકાસ પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઓટોમોબાઈલ અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે સમુદ્રી માર્ગો જોખમી બન્યા છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દ્વારા ગલ્ફ દેશો માટે મોકલવામાં આવેલી આશરે 2000 કારોને હવે ચેન્નાઈ પોર્ટ પર પરત લાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગાડીઓને હંબનટોટા પોર્ટ થઈને મધ્ય-પૂર્વના બજારોમાં મોકલવાની હતી, પરંતુ યુદ્ધના કારણે શિપિંગ કંપનીઓએ રૂટ બદલવા પડ્યા છે.
હોર્મુઝ અને રાતા સમુદ્રમાં વધતું જોખમ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને રાતા સમુદ્ર જેવા મુખ્ય જળમાર્ગો પર જોખમ વધતા શિપિંગ કંપનીઓ આ રસ્તેથી પસાર થવાનું ટાળી રહી છે. રિપોર્ટ મુજબ, લગભગ 4000 જેટલા કન્ટેનરોને તેમના નિર્ધારિત રસ્તા પરથી પાછા વાળવામાં આવ્યા છે, જેમાં 1800 કન્ટેનર એકલા ચેન્નાઈથી મોકલવામાં આવ્યા હતા.
તમિલનાડુના બંદરો પર કામગીરી ધીમી પડી
28 ફેબ્રુઆરીથી યુદ્ધ તેજ થતા તમિલનાડુના વી.ઓ. ચિદમ્બરનાર પોર્ટ પરથી થતી નિકાસ ખોરવાઈ છે. આ બંદર પરથી કપડાં, ખાદ્ય સામગ્રી અને એન્જિનિયરિંગ સામાન સીધો મધ્ય-પૂર્વ મોકલવામાં આવે છે. તાજેતરમાં 250 કન્ટેનર લઈને રવાના થયેલા ‘ઝોંગ ગુ તાઈ યુઆન’ જહાજને અધવચ્ચેથી રસ્તો બદલીને માલ જવાહરરાતા નહેરુ પોર્ટ પર ઉતારવો પડ્યો હતો.
ચેન્નાઈ પોર્ટ પર સ્ટોરેજ વિસ્તાર વધારવાની તૈયારી
નિકાસકારો અને પોર્ટ ઓથોરિટી વચ્ચે સતત બેઠકો ચાલી રહી છે. ચેન્નાઈ પોર્ટ પર 20,000 ચોરસ મીટરના વિસ્તારને કામચલાઉ સ્ટોરેજ (યાર્ડ) તરીકે વાપરવાની તૈયારી ચાલી રહી છે. અધિકારીઓ હવે હોર્મુઝના જળમાર્ગને બદલે અન્ય સુરક્ષિત સમુદ્રી રસ્તાઓ શોધી રહ્યા છે જેથી વેપારને થતું નુકસાન અટકાવી શકાય.















