![]()
વડોદરાઃ વડોદરાના સારાભાઇ કેમ્પસ ખાતે આવેલી ફાઇનાન્સ કંપનીના સંચાલક દ્વારા મહીસાગરમાં રહેતા નિવૃત્ત પીએસઆઇને દોઢ કરોડની લોન અપાવવાના નામે રૃ.૪.૩૭ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
મહિસાગરના ભદરોડ ખાતે રહેતા નિવૃત્ત પીએસઆઇ ઉદેસિહ ફતાભાઇ માલિવાડે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૯માં મારે વતનમાં તબેલો બનાવવો હોવાથી મારા ભાઇ મારફતે સારાભાઇ કેમ્પસમાં એન્કલેટ બિલ્ડિંગ ખાતે આવેલી નમો નમઃફિન સર્વ પ્રા.લિ.ના સંચાલક સદ્દામહુસેન મકબુલ એહમદ કુરેશી(સ્લમ ક્વાટર્સ સામે,મહેબૂબ પુરા,નવાપુરા) તેમજ તેના મેનેજર ગજેન્દ્રસિંહ ભરતસિંહ જાદવ(અનુપમ સોસાયટી,જેતલપુર રોડ મૂળ મોરા, તિલકવાડા)નો સંપર્ક કર્યો હતો.
જમીનના કાગળો અને તેના વેલ્યુએશન જોઇ પહેલાં રૃ.૩ કરોડની લોન માટે વાત થઇ હતી.પરંતુ સદ્દામ હુસેને આ લોનમાંથી માત્ર ૨ કરોડ જ તમારા હાથમાં આવશે તેમ કહી રૃ.દોઢ કરોડની લોન માટે મને સમજાવતાં હું તૈયાર થઇ ગયો હતો.
નિવૃત્ત પીએસઆઇએ કહ્યંુ છે કે,ત્યાર બાદ મારી લોન નામંજૂર થતાં સદ્દામહુસેને મને ફી ની લીધેલી રકમ પરત કરી હતી.પરંતુ ત્યારપછી પણ તેણે લોન મંજૂર થઇ જશે તેમ કહી તબક્કાવાર કુલ રૃ.૪.૩૭ લાખ લીધા હતા,છતાં લોન મળી નહતી.જેથી ગોરવા પોલીસે સદ્દામહુસેન અને મેનેજર સામે ગુનો નોંધ્યો છે.















