![]()
રાજકોટમાં રોજ અંદાજે 3 લાખથી વધુ લોકો બહાર જમે છે
શહેરમાં વિદ્યાર્થીઓ સહિત રોજ અંદાજે 2 લાખથી વધુ લોકો બહાર જમે છે, હોટલવાળાએ કહ્યું-અમારે થાળીની ના પાડવી પડે તેવી ચિંતા
રાજકોટ: રાજકોટમાં આશરે ૫ હજાર જેટલી હોટલ,રેસ્ટોરાં તથા ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા એલ.પી.જી.ગેસનો ઉપયોગ કરીને આ ધંધો ચલાવાય છે જેમાં હજારોને રોજી રોટી મળે છે. બે દિવસથી કોમર્શીયલ ગેસના બાટલાનો સપ્લાય ખોરવાતા હોટલોમાં સ્થિતિ ગંભીર બની રહ્યાનું જણાવાયું છે ત્યારે બીજી તરફ પૂરવઠા વિભાગે આ સ્થિતિમાં ઘરવપરાશના રાંધણગેસનો વપરાશ વ્યાપારી પ્રવૃતિમાં અટકાવવા માટે ચેકીંગ શરુ કરીને આજે સર્વેશ્વર ચોકમાં દીપ સેન્ડવીચમાંથી ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત કરીને કાર્યવાહી કરાઈ હતી.
શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલ દ્વારકાધીશ હોટલના કાનાભાઈએ જણાવ્યું કે હોટલોમાં કોમ.ગેસના બાટલાથી રસોઈ થતી હોય છે ત્યારે તેની સપ્લાય પુરતી નહીં થતા સ્થિતિ વિકટ બની રહી છે અને જમવા આવનારાને ના પાડવી પડે અને ધંધા બંધ કરવા પડે કે ઘટાડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અમારે ત્યાં અસંખ્ય વિદ્યાર્થીઓ પણ રોજ જમવા માટે આવતા હોય છે. જ્યારે રવેચી હોટલના રાજુભાઈ ઠુંગાએ જણાવ્યું કે હોસ્પિટલમાં રહેતા દર્દીઓ માટે કઢી-ખીચડી મંગાવાય તો પણ તે આપવામાં મૂશ્કેલી પડે તેમ છે, કામધંધામાં ધ્યાન આપવાને બદલે ગેસનો બાટલો શોધવા નીકળીએ છીએ અને ઉંચા ભાવ ચૂકવવા તૈયાર હોય તો પણ બાટલો મળતો નથી. ગ્રાહકોને થાળી પીરસવાની ના પાડવી પડે તેવી ગંભીર ચિંતા સર્જાઈ છે.
પૂરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડરના વિતરણ ઉપર તેમજ પેટ્રોલ-ડીઝલના સ્ટોક પર નજર રખાઈ રહી છે પરંતુ, સરકાર તેની સાથે હોટલો-રેસ્ટોરાં તેમજ શાપર વેરાવળ સહિતના ઉદ્યોગકારોની ઉપાધિનો પણ નિકાલ લાવે તેવી માંગ પ્રબળ બની છે.















