– ઈરાન યુદ્ધના કારણે ઊર્જા સપ્લાય ચેઈનને અસર છતાં પુરતો પુરવઠો હોવાનો દાવો
– પેટ્રોલનો 6 દિવસ અને ડીઝલનો 5 દિવસ ચાલે તેટલો સ્ટોક અત્યારે ઉપલબ્ધ : કાળાબજાર અને સંગ્રહખોરી કરનારા સામે પુરવઠા તંત્ર એલર્ટ મોડમાં
ભાવનગર : અમેરિકા, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના પગલે સમગ્ર દેશમાં ઓઈલ અને ગેસની સપ્લાય ચેઈનને અવળી અસર પડી છે. રાજ્યના અનેક શહેરોની સાથે ભાવનગરમાં પણ ગરમીમાં ગેસના બાટલાની ગભરાટ ફેલાઈ છે. જો કે, અન્ય શહેરોની તુલનામાં ભાવનગરમાં સ્થિતિ હજુ કાબૂમાં છે. એલપીજીની સાથે પેટ્રોલ અને ડીઝલનો પણ સ્ટોક હાલ પુરતા પ્રમાણમાં હોય, લોકોએ ચિંતા ન કરવા વહીવટી તંત્ર જણાવી રહ્યું છે.
ભાવનગરમાં ૩૮ ગેસ એજન્સી પાસે ૩,૨૧,૯૦૦૦ કિલોગ્રામ એલપીજી સ્ટોરેજ કરવાની કેપેસિટી છે. જેની સામે ૧,૯૬,૭૦૬.૬ કિલોગ્રામ (૬૧.૧૦ ટકા) સ્ટોક હાજર સ્ટોકમાં છે. ભાવનગરમાં સરેરાશ ૧,૪૧,૮૫૨.૬ કિલોગ્રામની એલપીજીનો વપરાશ થતો હોય, દોઢ દિવસ ચાલે તેટલો સ્ટોક ઉપલ્બધ છે. આજની સ્થિતિએ પેટ્રોલનો છ દિવસ અને ડીઝલનો પાંચ દિવસનો સ્ટોક છે. અફવાઓ અને ચિંતાના કારણે ઘણાં લોકોમાં ઊર્જા સપ્લાયને લઈ જે ભ્રમ ફેલાયો છે. તે હાલની સ્થિતિમાં નાહકનો છે. ઘરેલું કે કોમર્શિયલ એલપીજીનો પુરવઠો ન મળવાની હજુ સુધી ફરિયાદો આવી નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. તમામ ગેસ એજન્સીઓ અને પેટ્રોલપંપ માલિકોને પુરવઠા વિતરણને લઈ જરૂરી તમામ સુચનાઓ આપી દેવાઈ છે. કાળાબજાર અને સંગ્રહખોરી કરનારા સામે જિલ્લા વહીવટી અને પુરવઠા તંત્ર એલર્ટ મોડમાં છે. જો કોઈ જમાખોરી કે કાળાબજારી કરશે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે. વધુમાં અત્યારે ગેસ સિલિન્ડરના બુકિંગ બાદ બે દિવસમાં બાટલાનું વિતરણ થઈ રહ્યું હોવાનું પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
ઓનલાઈન બુકિંગ સેવામાં ખોટકો, બાટલા લેવા એજન્સીના ધક્કા
લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની અછતની વાતને લઈ લોકોમાં ગભરાટ ફેલાતા બાટલા નોંધાવવા માટે પડાપડી થવા લાગી છે. જેના કારણે ઓનલાઈન બુકિંગ સેવામાં ખોટકો સર્જાયાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠી છે. વારંવાર ફોન કરવા છતાં બે દિવસથી ગેસના બાટલાનું બુકિંગ ન થતાં ઘણાં લોકોએ તો બાટલા લેવા એજન્સીના ધક્કા પણ ખાવા પડયા છે. આ બાબતે પુરવઠા તંત્રએ જણાવ્યું હતું કે, જે ખામી સર્જાઈ છે, તે સંભવત્ મધરાત સુધીમાં દૂર થશે અને અગાઉની જેમ જ ગેસ બુકિંગની ઓનલાઈન સેવા કાર્યરત થશે.
એજન્સી-પેટ્રોલપંપ માલિકો પાસેથી ડેઈલી સ્ટોકનો રિપોર્ટ લેવાઈ રહ્યો છે
ભાવનગરમાં ગેસ અને પેટ્રોલ-ડીઝલને લઈ તંત્ર હરકતમાં આવી ગયું છે. ગેસ એજન્સીઓ અને પેટ્રોલપંપ માલિકો પાસેથી રોજે રોજના સ્ટોકનો રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે. અત્યારે પુરતા પ્રમાણમાં જથ્થો છે, જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં થોડા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પરંતુ તેના કારણે મુશ્કેલીઓ ઉભી થઈ હોય તેવી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી તેમ નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણીએ માહિતી આપી હતી.
હોટેલ-રેસ્ટોરન્ટોને કોઈ તકલીફ નથી, પુરવઠો આપવા તંત્રએ બાંહેધરી આપી
શહેરના મોટા રેસ્ટોરન્ટ અને હોટેલોમાં ગેસ લાઈન હોવાથી એલપીજી ન મળવાની સમસ્યા હજુ સુધી સર્જાઈ નથી. જે રેસ્ટોરસ્ટ સંચાલકો કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરે છે, તેઓમાં ગેસ શોર્ટેજની ચિંતા હતી. જેથી પુરવઠા વિભાગનો સંપર્ક કરતા તંત્ર દ્વારા અત્યારની સ્થિતિએ કોમર્શિયલ ગેસમાં જરૂરિયાત મુજબનો સંગ્રહ છે. કોઈ તકલીફ પડશે તો પણ હોટેલ-રેસ્ટોરન્ટોને ગેસનો પુરવઠો પુરો પાડવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું ભાવનગર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ કે.કે. સરવૈયાએ વાતચીતમાં જણાવ્યું હતું.















