![]()
BJP TMC Clash : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પૂર્વે સ્થિતિ તંગ બની ગઈ છે. ગિરીશ પાર્ક વિસ્તારમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં પથ્થરબાજીને કારણે અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે અને અદૃશ્ય તણાવને જોતાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
TMCનો આક્ષેપ, મંત્રીના કાર્યાલય પર હુમલો
બંગાળના મંત્રી ડૉ. શશી પાંજાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાજપના કાર્યકર્તાઓએ તેમના ગિરીશ પાર્ક સ્થિત કાર્યાલય અને નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો હતો. ડૉ. પાંજાના જણાવ્યા અનુસાર બહારના લોકોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. ભાજપના સમર્થકોને લઈ જતી બસોમાં અગાઉથી જ પથ્થરો ભરેલા હતા. આ હુમલામાં અનેક TMC કાર્યકર્તાઓ ઘાયલ થયા છે.
આ પણ વાંચો : ઈરાન સામે અમેરિકાનો ‘લાઈટનિંગ’ પ્લાન: 2500 મરીન્સ અને ફાઈટર જેટ્સ સાથે USS ત્રિપોલી રવાના!
અમારા વાહનો પર હુમલો થયો
બીજી તરફ, ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢતા વળતો પ્રહાર કર્યો છે. ભાજપનો દાવો છે કે, વડાપ્રધાનની રેલીમાં જઈ રહેલા ભાજપના વાહનો પર TMC કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં ઉત્તર કોલકાતા જિલ્લા ભાજપ પ્રમુખ તમોઘ્ન ઘોષ સહિત અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે.
પોલીસ છાવણીમાં ફેરવાયું કોલકાતા
ઘટનાની ગંભીરતાને જોતાં ગિરીશ પાર્ક અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોને ઉતારી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ રેલી પહેલા થયેલી આ અથડામણે રાજકીય વાતાવરણને વધુ ગરમાવી દીધું છે.















