![]()
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ગઈકાલે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખારવા ગામના રહેવાસી અને ધ્રોળની ધારેશ્વર ડેરીમાં પોતાની રિક્ષા લઈને દૂધ પહોંચાડવાનું કામ કરતા ખેંગારભાઈ નોંધાભાઈ મુંધવા નામના 38 વર્ષીય યુવાનનુ હાર્ટ અટેક આવી જવાથી આકસ્મિક અવસાન થયું છે.
ગઈકાલે ખેંગારભાઈને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડયો હતો. આથી પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલના દરવાજે પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નિપજ્યું હતું.
હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ખેંગારભાઈ ધ્રોલ ધારેશ્વર ડેરીમાં કાર્યરત હોવાથી તેમના નિધનના સમાચાર મળતા જ તેમના સહકર્મચારીઓ અને ડેરીના સ્ટાફમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક ખેંગારભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા મુંધવા પરિવાર પર આભતૂટી પડ્યું છે.















