Harish Rana Last Video: ‘બધાને માફ કરતા અને બધાની માફી માંગતા હવે જાઓ… ઠીક છે…’ ભારતમાં ઈચ્છામૃત્યુના પ્રથમ કેસ એવા હરીશ રાણાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. જે જોઈને દરેકની આંખો ભીની થઈ રહી છે. હકીકતમાં, હરીશ હવે આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. છેલ્લા 13 વર્ષથી ‘જીવતી લાશ’ બનીને જીવન વિતાવી રહેલા હરીશને ગાઝિયાબાદથી AIIMS લાવવામાં આવ્યા છે, જ્યાં હવે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવી દેવામાં આવશે. આ દરમિયાન હરીશ રાણાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈ લોકો ભાવુક થઈ રહ્યા છે.
આ વાઈરલ વીડિયોમાં બ્રહ્માકુમારીઝના એક દીદી હરીશના કપાળ પર તિલક કરતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ કહેતા સંભળાય છે કે- ‘બધાને માફ કરતા અને સૌની માફી માંગતા હવે જાઓ..ઠીક છે..’
22 સેકન્ડનો વીડિયો, હરીશની આંખો કરે છે ઈશારો
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ 22 સેકન્ડના વીડિયોએ દરેકના હૃદયને હચમચાવી દીધા છે. આ વીડિયોમાં બ્રહ્માકુમારી પરિવારની એક દીદી હરીશના કપાળ પર ટીકા (તિલક) લગાવે છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દીદીના સ્પર્શથી હરીશની આંખો કંઈક ઈશારો કરે છે. હોઠ પણ સહેજ ફફડે છે અને ગળામાંથી કંઈક ગળતા હોય તેવું જણાય છે. હરીશની વિદાયનો આ માર્મિક વીડિયો જોઈને લોકોનું મન ભારે થઈ રહ્યું છે.
11 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 11 માર્ચના રોજ હરીશ રાણાને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. તેમનો પરિવાર બ્રહ્માકુમારી સમાજ સાથે જોડાયેલો છે. જ્યારે હરીશને તેમના ગાઝિયાબાદ સ્થિત નિવાસસ્થાનેથી AIIMS લઈ જવામાં આવ્યા, ત્યારે માતા-પિતા અને ભાઈ સહિત ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. પિતા અશોકે પરિવારના તમામ સભ્યોની માફી માંગી હતી અને કહ્યું હતું કે, ‘ન ઈચ્છવા છતાં પણ અમારે આ ડગલું ભરવું પડ્યું છે.’
‘કોઈને અનિશ્ચિતકાળ સુધી અસહ્ય પીડામાં ના રાખી શકાય’
આ અરજી અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે દિલ્હીની AIIMS હૉસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કે, હરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં.
આ પણ વાંચો: હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ
પેસિવ યુથેનેશિયાની મંજૂરી
આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે ‘પેસિવ યુથેનેશિયા’ની મંજૂરી આપી દીધી હતી. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઇફ સપોર્ટ (જેમ કે વેન્ટિલેટર કે ફીડિંગ ટ્યુબ) હટાવી લેવાય છે, જેથી તેનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, ‘આવા નિર્ણય મુશ્કેલ છે, પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુઃખદ છે.’















