Gujarat LPG Policy: રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઘરેલું વપરાશ માટે LPG સિલિન્ડરનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ પર ચોક્કસ મર્યાદાઓ અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.

LPG વિતરણ માટે નવી ફાળવણી પ્રણાલી
સરકારના આદેશ અનુસાર, જે સ્થળોએ PNG નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં કોમર્શિયલ LPG રીફિલની ફાળવણી કરવામાં આવશે.
•હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ 100% જથ્થો મળશે.
•ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ અને એરલાઇન કે રેલ્વે કેન્ટીનને 70% જથ્થો અપાશે.
•હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ એકમોને હવે માત્ર 10% જથ્થો ફાળવવામાં આવશે.
•છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી સંસ્થાઓને છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% ની મર્યાદામાં જથ્થો મળશે.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો

PNG અને LPG કનેક્શન અંગેના નિયમો
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકો પાસે PNG કનેક્શન ઉપલબ્ધ છે, તેને LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. આવા ગ્રાહકો હવે LPG કનેક્શન પોતાની પાસે રાખી શકશે નહીં.
ગુજરાતને કેન્દ્ર સરકારે કેરોસિનની ફાળવણી કરી છે, એ LPG ઉપરાંત 1,452 કિલો લીટરની ફાળવણી કરી છે, જેમાં 5 લીટરની મર્યાદામાં કેરોસિન આપવામાં આવશે, જેનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવશે, જે LPGની સાથે જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. ગ્રાહકોને સમયસર અને યોગ્ય રીતે ગેસ મળી રહે તે માટે ગેસ એજન્સીઓ પર રેવન્યુ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં તપાસ ટીમો દ્વારા કુલ 612 (જિલ્લા કક્ષાએ) અને 17 (રાજ્ય કક્ષાએ) તપાસણીઓ કરવામાં આવી છે. કોઈપણ ફરિયાદ માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 1800-233-0222 જાહેર કરવામાં આવ્યો છે.















