Iran America War: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતની મોટી રાજદ્વારી જીત: જયશંકરની મધ્યસ્થીથી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજો સુરક્ષિત પસાર થયા છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે, ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે ભારતીય જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવા માટે યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી છે.
જયશંકરની ડિપ્લોસી રંગ લાવી
એક ઈન્ટરવ્યુમાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. તેના પરિણામે શનિવારે ભારતીય ધ્વજ ધરાવતા બે ગેસ ટેન્કર પર્શિયન ગલ્ફમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ કાયમી સમજૂતી થઈ નથી. આ કોઈ લેણ-દેણનો મામલો પણ નથી, ઈરાનને તેના બદલામાં કશું આપવામાં આવ્યું નથી. આ સફળતા બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને આભારી છે. દરેક જહાજની અવરજવર માટે અલગથી વાતચીત કરવામાં આવે છે.
જયશંકરે જણાવ્યું કે, “મારી ઈરાન સાથે સતત વાટાઘાટો ચાલી રહી છે. જો તેનું કોઈ પરિણામ મળે છે, તો સ્વાભાવિક છે કે હું તેને આગળ પણ ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ. ભારતની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એ જ છે કે અમે વાતચીત કરતા રહીએ અને તાલમેલ દ્વારા સમાધાન શોધીએ. જો તેના કારણે અન્ય દેશો માટે પણ વાતચીતનો રસ્તો ખુલી જતો હોય, તો વિશ્વ માટે તે સર્વશ્રેષ્ઠ રહેશે.”
ઈરાનનો પ્રતિભાવ અને રણનીતિ
એક અહેવાલ મુજબ, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર અલીરેઝા તંગસીરીએ સોશિયલ મીડિયા પર ઈશારામાં જણાવ્યું હતું કે, સમુદ્રમાં ઈરાની નેવીની કાર્યવાહીના પરિણામો મળી રહ્યા છે. તેમણે ભારતનું નામ લીધા વિના કહ્યું કે, જોખમ અને પ્રતિબંધો હટાવવાનું આ એક વાસ્તવિક મોડલ છે. શનિવારે જ્યારે ભારતીય ટેન્કરો પસાર થયા, તે જ સમયે ઈરાની તેલ ભરેલા જહાજોને પણ રસ્તો આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલા વચ્ચે 19 ભારતીયોની કેમ ધરપકડ કરી લેવામાં આવી?
ભારત માટે કેમ મહત્વની છે હોર્મુઝની સામુદ્રધુની?
ભારત તેની જરૂરિયાતના આશરે 60 ટકા લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) આયાત કરે છે. આ આયાતનો 90 ટકા હિસ્સો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા ખાડી દેશોમાંથી આવે છે, જે હોર્મુઝની સામુદ્રધુની થઈને ભારત પહોંચે છે. જો આ રસ્તો બંધ થાય તો ભારતના 33 કરોડથી વધુ ઘરો જે રાંધણ ગેસ પર નિર્ભર છે, તેમને સીધી અસર થાય. દેશના અનેક શહેરોમાં ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલીક રેસ્ટોરન્ટ્સ અને હોટલોએ ગેસના પુરવઠાના અભાવે સ્થગિત કરવી પડી છે.
વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈએ હોર્મુઝની સામુદ્રધુનીને ‘હથિયાર’ તરીકે વાપરવાની વાત કરી છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઓગસ્ટ 2022 પછી પ્રથમ વખત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ કિંમતો હજુ વધી શકે છે. જયશંકરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓની બેઠક પહેલા જણાવ્યું કે, ભારતની આ પહેલ અન્ય દેશો માટે પણ વાતચીતનો માર્ગ ખોલી શકે છે. ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશો પણ હવે તેહરાન સાથે રાજદ્વારી ઉકેલ માટે સંપર્ક કરી રહ્યા છે.















