આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ૪૩ વિધાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા.
ગાંધીનગર : સંજીવ રાજપૂત, એબીએનએસ: : ગાંધીનગરમાં કોઇપણ હોદ્દેદારો વગરની ૨૭ વર્ષથી કાર્યરત સંસ્થા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાઉન હોલ ખાતે ગાંધીનગર શહેરમાં વસતા આહિર પરિવારનાં તેજસ્વી તારલાઓનો ૨૫ મો સરસ્વતી સન્માન સમારંભ ગુજરાત સરકારનાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરાનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ કાર્યકર્તાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતુ. સમાજનાં બાળકો દ્વારા જુદી જુદી સાંસ્ક્રુતિક ક્રુતિઓ રજુ કરવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય ભોજન દાતા જિતેન્દ્રકુમાર પીઠિયા, તેજસ્વી તારલાઓના ૧૦ વર્ષના ઇનામ દાતા નીતિનભાઈ ભાટિયા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના ઇનામ દાતા ભરતભાઈ વાઢેરનું પણ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાજેતરમાં જ UPSCની પરીક્ષામાં ઝળહળતી સફળતા સાથે ઉત્તિર્ણ થયેલા કિશનકુમાર રામ તેમજ ગાંધીનગરમાં બદલીથી નિમણૂંક પામેલા આઇપીએસ અધિકારી વિવેક ભેડા, એસપી, સીઆઇડી ક્રાઇમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
દર વર્ષની જેમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડીપ્લોમા પ્રાપ્ત કરેલા વિધાર્થીઓ પૈકી કુલ ૪૩ તેજસ્વી તારલાઓનું શિલ્ડ/પારિતોષિક તથા પ્રમાણપત્ર આપીને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.
રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા જિલ્લાઓમાંથી ગાંધીનગરમાં એકત્રિત થયેલ આહિર સમાજને એક તાંતણે બાંધીને સમાજની સંસ્કૃતિ જાળવી રાખવાનું કામ આ સંસ્થા કરી રહી છે. છેલ્લા થોડા વર્ષોથી શિક્ષણની ભૂખ ઉઘડતાં તેના પરિણામ સ્વરૂપ UPSC માં પાસ થયેલા IPS અધિકારીઓ આપણી સામે છે, હજુ વધુને વધુ યુવાઓ આવી પરીક્ષા પાસ કરીને આગળ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
વિધાર્થીઓનાં સન્માન બાદ આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરનાં આર્થિક સહયોગથી સાંસ્ક્રુતિક ડાયરાનુ આયોજન કરાયુ હતુ. જેમાં લોક ગાયક ભાવેશભાઇ આહિર તથા લોક સાહિત્યકાર અનુભા ગઢવીએ સાંસ્ક્રુતિક રાસ, ગરબા અને સાહિત્યનો રસથાળ પીરસ્યો હતો. જેને સમાજના વડીલો, યુવાનો, વિધાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
આ કાર્યક્રમનુ ભવ્યાતિભવ્ય આયોજન સમાજનાં કાર્યકર્તાઓ પૈકી, ટીમ લીડર ભરતભાઇ ઝાલા, હિંમતભાઇ હડીયા, પરબતભાઇ ધુવા, પરબતભાઇ પોસ્તરીયા, ભાવેશભાઇ કલસરીયા અને ધર્મેશભાઇ નકુમની મુખ્ય ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.















