![]()
મુંબઈ : વિશ્વમાં હાલમાં પ્રવર્તી રહેલા અનિશ્ચિત વાતાવરણ વચ્ચે શું કરવું અને શું ન કરવું તે અંગે વિશ્વના દસમાંથી સાત ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર્સ (સીઈઓ) અસમંજસની સ્થિતિમાં છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફ ઉપરાંત આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં રોકાણ પર ખાસ વળતર હજુ મળતા નહીં હોવાથી કંપનીઓ મુંઝવણમાં છે એમ પીડબ્લ્યુસીના ગ્લોબલ ચેરમેન મોહમદ કાંડે દ્વારા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ખાતે એક ટીવી ચેનલને અપાયેલી મુલાકાતમાં જણાવાયું હતું.
પીડબ્લ્યુસી દ્વારા હાથ ધરાયેલા વૈશ્વિક સીઈઓસના સર્વેમાં જણાયું હતું કે, દસમાંથી માત્ર ત્રણ સીઈઓને આગામી ૧૨ મહિનામાં આવક વૃદ્ધિ બાબત વિશ્વાસ છે. આવક વૃદ્ધિ જે ૨૦૨૫માં ૩૮ ટકા રહી હતી તેનાથી નીચી રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે.
હવે પછી શું થશે તે અંગે વ્યાપક અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
વિશ્વના ૯૫ જેટલા દેશોના ૪૪૫૫ સીઈઓના સર્વેના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
કંપનીઓ એઆઈ જેવી નવી ટેકનોલોજી પાછળ સમય ખર્ચી રહી છે. એઆઈના સ્વીકારમાં ખાસ લાભો જોવા મળતા નથી, જેની કંપનીઓ અપેક્ષા રાખીને બેઠી છે અને તેમણે હજુ પણ સતત ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખવું પડયું છે.
ટ્રમ્પ દ્વારા ટેરિફના જોખમે સીઈઓને અદ્ધરતાલ રાખ્યા છે. આ સંપૂર્ણ સ્થિતિમાં ભારત સ્થિતિસ્થાપક હોવાનું જણાય છે.
૨૦૨૫માં ભારત એકદમ જ સ્થિતિસ્થાપક રહ્યું હતું. પબ્લિક ઈન્વેસ્ટમેન્ટને ટેકો આપવા કેટલાક ખાનગી ઈન્વેસ્ટમેન્ટસ આગળ આવી રહ્યાનું જોવા મળે છે એવો પીડબ્લ્યુસી ઈન્ડિયા દ્વારા મત વ્યકત કરાયો હતો.
યુકે તથા જર્મની બાદ વૈશ્વિક રોકાણકારો ભારતને પસંદગીના ઈન્વેસ્ટમેન્ટ મથક તરીકે જોઈ રહ્યા છે.
આ સ્થિતિ જાળવી રાખવા અનુમાનિતતાની આવશ્યકતા છે જેથી સીઈઓ તે પ્રમાણે નિર્ણય લઈ શકે.















