![]()
Chhota Udepur News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જેતપુર પાવી પંથકમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા અને રાયપુરના વર્તમાન સરપંચે કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટી (AAP) નો કેસરિયો ધારણ કરતા રાજકીય સમીકરણો બદલાયા છે.
આપ નેતા વિનુ રાઠવાની વ્યૂહનીતિ!
આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાના નેતૃત્વમાં છોટા ઉદેપુર જિલ્લામાં પક્ષ મજબૂત બની રહ્યો છે. જેતપુર પાવી તાલુકાના રાયપુર ગ્રામ પંચાયતમાં સતત બે ટર્મથી સરપંચ પદે બિરાજમાન અને કોંગ્રેસના ‘હાથ સે હાથ જોડો’ અભિયાનના જિલ્લા પ્રમુખ છત્રસિંહ રાઠવા આજે વિધિવત રીતે AAPમાં જોડાયા છે. આપ નેતા વિનુ રાઠવા અને વિનેશ રાઠવાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
પક્ષ પલટો કર્યા બાદ છત્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, ‘હું લાંબા સમયથી કોંગ્રેસમાં હતો, પરંતુ આમ આદમી પાર્ટીની વિચારધારા અને તે જે રીતે આદિવાસી સમાજના પાયાના પ્રશ્નો ઉઠાવે છે તેનાથી હું પ્રભાવિત થયો છું. મારા સમાજની સેવા કરવા અને તેમના અવાજને મજબૂત કરવા માટે મેં આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.’
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં પણ LPGની તંગી! સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ
ભાજપ-કોંગ્રેસ માટે લાલબત્તી સમાન કિસ્સો
AAP નેતા વિનુ રાઠવાએ આ તબક્કે પ્રહાર કરતા જણાવ્યું કે, ‘એક સક્રિય સરપંચ અને જિલ્લા સ્તરના કન્વીનર જ્યારે કોંગ્રેસ છોડીને આપમાં આવે છે, ત્યારે તે સ્પષ્ટ કરે છે કે છોટા ઉદેપુરમાં પરિવર્તનની લહેર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લોકોનો આ વિશ્વાસ ભાજપ અને કોંગ્રેસ બંને માટે એક સણસણતો તમાચો છે.’
ચૂંટણી પહેલા સમીકરણો બદલાશે
છોટા ઉદેપુર જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ સંગઠનના હોદ્દેદારો જ પક્ષ છોડી રહ્યા હોવાથી કોંગ્રેસ માટે આગામી ચૂંટણી કપરી બની શકે છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરીને ભાજપ અને કોંગ્રેસ સામે ત્રીજા સશક્ત વિકલ્પ તરીકે ઉભરી રહી છે.















