Girnar Ambaji Temple: અંબાજી મંદિરમાં દારૂ અને નોનવેજની પાર્ટી અંગેની તપાસ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ સમગ્ર ઘટના ગત તા. 22-10-2025 ના રોજ બની હોવાનો ખુલાસો થયો છે.
આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે:
1. ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો.
2. મંદિરમાં પ્રતિબંધિત દારૂ અને નોનવેજની પાર્ટી કરવાનો ગુનો.
3. મંદિરમાં આવતા દાનની રકમમાં ગેરરીતિ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો ગુનો.
આ ગુનાઓ દાખલ કરાવવા માટે મામલતદાર પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ કૃત્યમાં સંડોવાયેલા તમામ લોકો અંબાજીના બ્રહ્મલીન મહંત તનસુખગીરીના અનુયાયીઓ છે.
પૂજારીના પુત્ર અને મિત્રો સહિત 6 શખ્સોએ પવિત્રતા દુભાવી
ગિરનાર પર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરની કલંકિત ઘટના અંગેની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. તેમણે કલેક્ટરને સુપરત કરેલા રિપોર્ટને જાહેર કરતા કલેક્ટર અનિલ રાણાવાસીયાએ જણાવ્યું કે, તપાસમાં બે અલગ-અલગ ગંભીર ઘટનાઓ સામે આવી છે:
1. દારૂ-નોનવેજની પાર્ટી: પૂજારી કિશોર ચૌહાણના સ્થાને તેમનો પુત્ર અભિષેક પૂજા માટે અંબાજી મંદિરે રોકાયો હતો. તે સમયે તેણે પોતાના મિત્રોને બોલાવી મંદિરમાં દારૂ અને નોનવેજની પાર્ટી કરી હતી. કુલ 6 વ્યક્તિઓએ મંદિરના ગોખમાં દારૂ પીધો હતો અને ત્યારબાદ મંદિરના ભંડારામાં નોનવેજ ખાધું હોવાનું ખુલ્યું છે.
2. દાનની રકમની ચોરી: સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ પરથી જણાયું છે કે, પૂજારી સિવાયના અન્ય બિનઅધિકૃત વ્યક્તિઓ ત્યાં સેવા-પૂજા કરતા હતા. આ વ્યક્તિઓ મંદિરની દાનપેટી પર કપડું કે વાસણ રાખી શ્રદ્ધાળુઓને તેમાં દાન ધરવા માટે કહેતા હતા અને તે રકમ પોતે લઈ લેતા હતા. તપાસ દરમિયાન તેઓ આ રકમ મંદિર ટ્રસ્ટમાં જમા કરાવી હોવાના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી.
આ સમગ્ર મામલે સિટી મામલતદાર(વહીવટદાર) દ્વારા બે ફરિયાદો અને એક ખાનગી વ્યક્તિ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવા અંગેની ફરિયાદ મળીને કુલ ત્રણ ફરિયાદો નોંધાવવામાં આવી છે.
મંદિરે સીડી મારફત દારૂ અને નોનવેજ પહોંચ્યું હતું
દારૂની આ પાર્ટી માટે છગન ડાભી નામનો વ્યક્તિ રોપ-વે અથવા સીડી મારફતે દારૂ અને નોનવેજ લઈને મંદિર પહોંચ્યો હતો. ત્યાં અભિષેક કિશોરસિંહ ચૌહાણ, તેના બે સગીર મિત્રો, છગન ડાભી, નિખિલ મેઘનાથી અને જીજ્ઞેશ ડાભીએ મળીને દારૂ તથા નોનવેજની પાર્ટી કરી હતી.
આ તમામ શખ્સો સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જ્યારે આ પ્રતિબંધિત વસ્તુઓ સીડી મારફતે ઉપર લઈ જવામાં આવી, ત્યારે ત્યાં ચેકિંગમાં કયા કર્મચારીઓ હાજર હતા, તે અંગે પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ
મંદિરમાંથી પાંચ શખ્સો નાણાંનો ગફલો કરતા હતા
મંદિરની દાનપેટીમાં આવતી ભેટની રકમમાં ગેરરીતિ કરવા બદલ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સો સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને મંદિર ટ્રસ્ટની રકમ બારોબાર લઈ લેવા બદલ જૂનાગઢ શહેર મામલતદાર અને મંદિરના વહીવટદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ પૂજારીઓએ અનઅધિકૃત રીતે મંદિરમાં પૂજા કરી હતી અને શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનની રકમમાં ગફલો કર્યો હતો.
ઘટનાની જાણ હોવા છતાં મૌન રહેનારા સ્ટાફ સામે કડક કાર્યવાહી
અંબાજી મંદિરમાં તા. 29-11-2024થી વહીવટદારનું શાસન અમલમાં આવ્યું છે. મંદિરમાં નવ પૂજારી, એક પીઆરઓ(PRO), એક રસોયો અને એક સફાઈ કામદાર મળીને કુલ 12 કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો હતો. મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી અને દાનની રકમની ઉચાપત જેવી ગંભીર ઘટનાઓની જાણ હોવા છતાં, અન્ય કર્મચારીઓએ આ અંગે કોઈ જાણ કરી ન હતી. આ બેદરકારી બદલ શિસ્તભંગના પગલાં રૂપે તમામ 12 કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.
















