પગાર
વધારો, નવો
મોબાઈલ સહિતની ૧૨ માંગણી ન સંતોષાતા
પ્રથમ
તબક્કમાં ત્રણ દિવસ કામગીરી ઠપ્પ,
રેલી અને ધરણાં જેવા કાર્યક્રમ યોજાશે ઃ બાળકોના શિક્ષણ અને પોષણ
આહાર પર સંકટ
સુરેન્દ્રનગર- સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ
૧,૩૫૫ આંગણવાડીઓના
વહીવટ પર આવતીકાલથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લાંબા સમયથી પગાર વધારો, નવા મોબાઈલ ફોન અને અન્ય ૧૨ જેટલા પડતર પ્રશ્નો મામલે રજૂઆતો કરવા છતાં કોઈ
ઉકેલ ન આવતા, જિલ્લાના ૨,૭૧૦ જેટલા આંગણવાડી
કાર્યકર અને હેલ્પર બહેનોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.
આંગણવાડી
બહેનોએ જણાવ્યું કે ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપીને
આંગણવાડી વર્કર્સ માટે રૃ. ૨૪,૮૦૦ અને હેલ્પર્સ માટે રૃ. ૨૦,૩૦૦ માસિક પગાર નક્કી
કરવામાં આવ્યો હોવા છતાં, સરકાર દ્વારા હજુ પણ માત્ર રૃ. ૧૦,૦૦૦ અને રૃ. ૫,૦૦૦ જેવું નજીવું વેતન આપવામાં આવે
છે. આ આથક અન્યાય સામે મહિલા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પગાર
ઉપરાંત ટેકનોલોજીનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. ૨૦૧૮થી સરકાર દ્વારા નવા મોબાઈલ
આપવામાં આવ્યા નથી, જેના કારણે જૂના હેન્ડસેટમાં નવી એપ્લિકેશનો ચાલતી નથી. છેલ્લા ૧૨ દિવસથી
ઓનલાઈન કામગીરી બંધ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવા ફોન
આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત, નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષ
કરવી, બાળકોના પોષણ આહારના દરમાં વધારો અને બિલોની સમયસર
ચુકવણી જેવી મહત્વની માંગણીઓ સાથે આંદોલન તેજ કરવામાં આવ્યું છે.
વઢવાણ
ઘટકના આંગણવાડી વર્કર પ્રીતિબેન ચાવડાએ જણાવ્યું હતું કે, ‘અમે વારંવાર રજૂઆતો
કરી છે, પરંતુ સરકાર મચક આપતી નથી. આવતીકાલથી પ્રથમ
તબક્કામાં ત્રણ દિવસ સુધી તમામ આંગણવાડીઓ બંધ રહેશે. આ દરમિયાન રેલી અને ધરણાં
જેવા કાર્યક્રમો યોજાશે. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આ હડતાલ અચોક્કસ મુદતની
બની શકે છે.‘
આ
હડતાલને કારણે હજારો ભૂલકાઓને મળતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણક્ષમ આહાર બંધ
થશે, જેની
જવાબદારી તંત્રની રહેશે તેવું કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે. વાલીઓને પણ આ
સ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે.















