![]()
BHAVYA Scheme India : દેશભરમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA)’ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક પાર્ક બનાવવા માટે રૂ.33,660 કરોડ ફાળવવામાં આવ્યા છે.
રાજ્યોને સામેલ કરીને ‘ભવ્ય’ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો, મૈન્યુફેક્ચરિંગ કેપિસિટી વધારવાનો અને તેને વિશ્વ સામે રજૂ કરાવનો, તેમજ દેશનો ભારતની આર્થિક પ્રગતિ વધુ ઝડપી બનાવવાનો છે. કેબિનેટની બેઠકમાં કહેવાયું છે કે, નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP) માળખા હેઠળ વિકસાવવામાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીઝની સફળતાને ધ્યાનમાં રાખીને, આ ભવ્ય પ્રોજેક્ટને રાજ્યો અને ખાનગી ક્ષેત્રના ભાગીદારો સાથે મળીને અમલમાં મૂકવામાં આવશે.
100થી 1000 એકરના વિશાળ ઔદ્યોગિક પાર્કો વિકસાવવાનું લક્ષ્ય
- ‘ભવ્ય’ યોજનાની મહત્ત્વની બાબતો પર નજર કરીએ તો, યોજના હેઠળ દેશમાં 100થી 1000 એકરના વિશાળ ઔદ્યોગિક પાર્કો વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
- આ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર પ્રતિ એકર એક કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે, જેનો મુખ્ય ઉપયોગ આંતરિક રસ્તાઓ, અંડરગ્રાઉન્ડ યુટિલિટી, વોટર ડ્રેનેજ અને આધુનિક વહીવટી પ્રણાલી જેવા કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવશે.
- આ ઉપરાંત, તૈયાર કારખાનાના શેડ, પ્રોડક્શન યુનિટ્સ અને સ્ટોરેજ પ્લાન્ટ જેવી વેલ્યુ એડેડ સુવિધાઓ તેમજ શ્રમિકો માટે આવાસ જેવી સામાજિક માળખાગત સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવશે.
- પીએમ ગતિશક્તિના સિદ્ધાંતોને અનુરૂપ આ પાર્કો ભવિષ્યની જરૂરિયાતો મુજબ મલ્ટીડાયમેન્શનલ કનેક્ટિવિટીથી સજ્જ હશે.
આ પણ વાંચો : ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ
યોજનાનો સૌથી વધુ લાભ કોને થશે?
આ યોજનાનો સીધો લાભ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs), સ્ટાર્ટઅપ્સ અને તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શોધમાં રહેલા વૈશ્વિક રોકાણકારોને મળશે. આ સાથે જ, આ પ્રોજેક્ટ દ્વારા શ્રમિકો, લોજિસ્ટિક્સ પ્રોવાઈડર્સ અને સર્વિસ સેક્ટરના ઉદ્યોગો માટે પણ પ્રગતિના નવા દ્વાર ખુલશે. સ્થાનિક સમુદાયોને રોજગારીની વ્યાપક તકો મળવાની સાથે પ્રાદેશિક સ્તરે આર્થિક વિકાસને પણ મોટો વેગ મળશે, જે ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું સાબિત થશે.
આ પણ વાંચો : ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મોટું નિવેદન















