US Mercenary Matthew VanDyke Arrested Case : ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ હાલમાં જ એક મોટી કાર્યવાહીમાં અમેરિકન નાગરિક મેથ્યુ વાનડાઇક અને યુક્રેનના છ નાગરિકની ધરપકડ કરી છે. તેમના પર મ્યાનમારમાં સક્રિય આતંકવાદી જૂથોને તાલીમ આપવા અને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ છે. 46 વર્ષીય વાનડાઇક પોતાને સુરક્ષા વિશ્લેષક, યુદ્ધ સંવાદદાતા અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ગણાવે છે, પરંતુ તેનો ઇતિહાસ વૈશ્વિક સંઘર્ષોમાં સક્રિય ભૂમિકા ભજવવાનો રહ્યો છે.
તો ચાલો, જે જાણીએ આ વિવાદાસ્પદ વ્યક્તિની કહાની.
કોણ છે મેથ્યુ વાનડાઇક?
મેથ્યુ વાનડાઇક અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરનો રહેવાસી છે. તેણે મેરીલેન્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ‘એડમન્ડ વોલ્શ સ્કૂલ ઓફ ફોરેન સર્વિસ’માંથી ‘સિક્યોરિટી સ્ટડીઝ (સુરક્ષા અભ્યાસ)માં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે 2009માં ‘ધ બાલ્ટીમોર એક્ઝામિનર’ અખબાર માટે યુદ્ધ સંવાદદાતા તરીકે કામ કર્યું હોવાનો દાવો કર્યો છે. તેણે યુવાનીના દિવસો ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં મોટરસાઇકલ પર ફરવામાં વિતાવ્યા હતા.
આ પણ વાંચો : LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ!
2011ના લિબિયાના ગૃહયુદ્ધ વખતે જેલમાંથી ભાગ્યો
વાનડાઇકના જીવનમાં 2011નું વર્ષ એક મોટો વળાંક સાબિત થયું. લિબિયાના ગૃહયુદ્ધ વખતે તે મુઅમ્મર ગદ્દાફી વિરુદ્ધ લડી રહેલા બળવાખોરો સાથે જોડાયો. ‘ભાડૂતી સૈનિક’ (mercenary) બનેલા વાનડાઇકને માર્ચ 2011માં પકડી લેવાયો અને લગભગ છ મહિના સુધી એકાંત કેદ (Solitary Confinement)માં રખાયો. ઓગસ્ટ 2011માં બળવાખોરોએ લિબિયાની રાજધાની ત્રિપોલી પર કબ્જો કર્યો ત્યારે તે જેલ તોડીને ભાગી છૂટ્યો. આ ઘટના બાદ તે ‘અમેરિકન સ્વતંત્રતા સેનાની’ તરીકે જાણીતો બન્યો.
‘સન્સ ઓફ લિબર્ટી ઇન્ટરનેશનલ’ની સ્થાપના કરી
વાનડાઇકના બે મિત્રો જેમ્સ ફોલી અને સ્ટીવન સોટલોફની સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ દ્વારા ક્રૂર હત્યા કરાઈ હતી. આ ઘટનાએ વાનડાઇક પર ઊંડી અસર કરી અને તેણે ‘સન્સ ઓફ લિબર્ટી ઇન્ટરનેશનલ’ (SOLI) નામની સંસ્થાની સ્થાપના કરી. આ એક નફો નહીં કરતી લશ્કરી કરાર કંપની (non-profit military contractor company) છે, જે વિશ્વભરના સંઘર્ષરત વિસ્તારોમાં સ્થાનિક સશસ્ત્ર જૂથોને મફતમાં સુરક્ષા તાલીમ અને વ્યૂહાત્મક સલાહ પૂરી પાડે છે. આ સંસ્થાએ સૌથી પહેલા ઇરાકમાં ખ્રિસ્તી લઘુમતી લડવૈયાઓને ઈસ્લામિક સ્ટેટ સામે તાલીમ આપીને ખ્યાતિ મેળવી હતી.
આ પણ વાંચો : અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના! જાણો શું છે તેની ખાસિયત
યુક્રેન યુદ્ધમાં સંડોવણી અને તાલીમ શિબિરો
રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો ત્યારે વાનડાઇક ત્યાં પહોંચી ગયો હતો. તે યુક્રેનની ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સિસ સાથે કામ કરી રહ્યો હતો, જે સામાન્ય નાગરિકોથી બનેલી રિઝર્વ ફોર્સ છે. તેણે એપ્રિલ 2022માં પશ્ચિમી શહેર લ્વિવ (Lviv)માં તાલીમ શિબિર શરૂ કરી અને યુક્રેનના હજારો લોકોને ઝડપથી તાલીમ આપવાની યોજના બનાવી. તેનું કહેવું હતું કે તેના જેવા નાના જૂથો મોટી સંખ્યામાં સૈનિકો તૈયાર કરી શકે છે કારણ કે, યુક્રેન પાસે લાખો સંભવિત સૈનિકો છે પરંતુ તેમને તાલીમ આપવાની વ્યવસ્થા નથી.
કોલકાતા, લખનઉ અને દિલ્હીથી વિદેશીઓની ધરપકડ
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 13 માર્ચ 2026ના રોજ ત્રણ જુદા જુદા એરપોર્ટ પરથી એકથી વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરી. વાનડાઇકને કોલકાતા એરપોર્ટ પરથી ઝડપી લેવાયો, જ્યારે યુક્રેનના ત્રણ નાગરિકને લખનઉ અને ત્રણને દિલ્હી એરપોર્ટ પરથી પકડવામાં આવ્યા. બધાને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા, જ્યાંથી તેમને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયા. 27 માર્ચ સુધી તેમના રિમાન્ડ છે. અન્ય આરોપીઓના નામ છે- હુર્બા પેટ્રો, સ્લિવીક તારાસ, ઇવાન સુકમાનોવ્સ્કી, સ્ટેફનકિવ મેરિયન, હોનચારુક માક્સિમ અને કામિન્સ્કી વિક્ટર.
આ પણ વાંચો : શેરબજારમાં મોટો આંચકો, સેન્સેક્સમાં 2400થી વધુનો તો નિફ્ટીમાં 750 પોઇન્ટથી વધુનો કડાકો
આતંકી સંગઠનોને તાલીમ આપવાના આરોપ
રાષ્ટ્રીય તપાસ એજન્સીના મતે, આ તમામ આરોપીઓ પ્રવાસી વિઝા પર ભારત આવ્યા હતા. તેઓ ગુવાહાટી ગયા અને ત્યાંથી જરૂરી પરમિટ (Protected Area Permit) લીધા વિના મિઝોરમમાં પ્રવેશ્યા. મિઝોરમથી તેઓ ગેરકાયદે રીતે મ્યાનમાર ગયા, જ્યાં તેમણે વંશીય જૂથો (Ethnic Groups) ને ડ્રોન યુદ્ધની તાલીમ આપી. તેમના પર આરોપ છે કે તેમણે યુરોપથી મોટા પ્રમાણમાં ડ્રોન ગેરકાયદે રીતે આયાત કર્યા હતા અને ભારતમાં થઈને મ્યાનમાર પહોંચાડ્યા હતા. આ ઉપરાંત તેમણે ભારતમાં પ્રતિબંધિત આતંકી સંગઠનોને શસ્ત્રો અને તાલીમ પણ પૂરી પાડી હતી.
AK-47 ધરાવતા આતંકવાદીઓ સાથે સંપર્કમાં હોવાની કબૂલાત કરી
રાષ્ટ્રીય તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રારંભિક પૂછપરછમાં આરોપીઓએ સ્વીકાર્યું છે કે, તેઓ AK-47 રાઇફલ્સ લઈને ફરતા અજાણ્યા આતંકવાદીઓના સંપર્કમાં હતા. તેમને પ્રોત્સાહન અને ભંડોળ પૂરું પડાતું હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે એજન્સીએ કોર્ટમાં જણાવ્યું કે આરોપીઓએ મ્યાનમારમાં એક કરતા વધુ વખત તાલીમ આપી હોવાની કબૂલાત કરી છે. આ તપાસમાં મજપ્ત કરાયેલા મોબાઇલ ફોનનું ફોરેન્સિક વિશ્લેષણ કરાઈ રહ્યું છે.
વાનડાઇકે ‘ખ્રિસ્તી દેશ’ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું: શેખ હસીના
વાનડાઇકની ધરપકડ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાનું એક જૂનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. 2023-24માં હસીનાએ આરોપ લગાવ્યો હતો કે એક ‘ગોરો માણસ’ બાંગ્લાદેશના ચિત્તગોંગ હિલ ટ્રેક્ટ્સ અને મ્યાનમારના ભાગોને જોડીને અલગ ‘ખ્રિસ્તી દેશ’ બનાવવાનું કાવતરું ઘડી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તેમને બંગાળની ખાડીમાં લશ્કરી મથક બનાવવાની ઓફર કરાઈ હતી, જેને તેમણે નકારી કાઢી હતી. ઓફર કોણે આપેલી, એ માટે હસીનાએ ફોડ નહોતો પાડ્યો, પણ એમનો ઈશારો અમેરિકા તરફ હતો. જો કે, અમેરિકાએ હસીનાના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
મ્યાનમારનું યુદ્ધ ભારતની પૂર્વોત્તર સરહદ માટે જોખમી
સુરક્ષા નિષ્ણાતો આ ઘટનાઓને જોડીને વિશ્લેષણ કરી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે વાનડાઇકની પ્રવૃત્તિઓ અને શેખ હસીનાની ચેતવણી વચ્ચે કડી હોઈ શકે છે. મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ અને ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારની સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો મુદ્દો ભારત માટે ચિંતાજનક છે. જો કે, નિષ્ણાતોનો એક વર્ગ આને માત્ર અનુમાન ગણાવે છે અને નક્કર પુરાવાની રાહ જોવાનો મત વ્યક્ત કરે છે.
ખેર, આ કેસની તપાસ હજુ ચાલુ છે અને હજુ ઘણાં સવાલોના જવાબ મળવાના બાકી છે. જેમ કે, શું આ નેટવર્કનું ભારતમાં કોઈ સ્થાનિક જોડાણ છે? યુરોપથી ગેરકાયદે આયાત કરાયેલા ડ્રોન ભારતમાં થઈને મ્યાનમાર કેવી રીતે પહોંચ્યા, એ પણ મોટો પ્રશ્ન છે.















