![]()
સવાર આખી ચાંચે પકડી ચકલી ચીં..ચીં.. ગાય : લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા સંસ્થાઓ દ્વારા માળા વિતરિત કરાશે
જૂનાગઢ, : આજે વિશ્વ ચકલી દિવસ છે. બદલાઈ રહેલા વાતાવરણ, ખોરાકનો અભાવ, બહુમાળી ઇમારતોમાં વધારો અને મોબાઈલ તરંગોથી પર્યાવરણનું બેરોમીટર ગણાતી ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે.
વર્તમાન સમયમાં ચકલી હવે કોંક્રીટના જંગલોમાં ખોવાઈ ગઈ છે. એક સમયે ચકલીઓની ચીચીયારી શહેરોમાં ગુંજતી હતી પરંતુ બદલાતા સમય સાથે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે જેથી તેનો મીઠો મધુરો અવાજ જવલ્લે જ સાંભળવા મળે છે. ચકલી વધુ તાપમાન સહન કરી શકતી નથી અને પ્રદુષણને કારણે અને વિકીર્ણોના કારણે શહેરનું તાપમાન વધી રહ્યું છે. પ્રદૂષણમાં વધારો, કેમિકલ યુક્ત દવાનો છંટકાવ, નળિયાવાળા પ્રાચીન ઢબના ઘરને બદલે પાકા મકાનો- બહુમાળી ઇમારતોના ચણતરથી ચકલીઓને માળા બાંધવા જગ્યા મળતી ન હોવાથી શહેરમાં આ નાનું એવું અબોલ જીવ પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે. ચકીને ખોરાક તરીકે ઘાસના બીજ અને દાણા વધુ પસંદ હોય છે પરંતુ શહેરી વિસ્તારમાં પૂરતો ખોરાક પ્રાપ્ય થતો નથી જેથી ગ્રામીણ વિસ્તારોમાં જ ચકલીનો કલબલાટ સાંભળવા વધુ મળે છે. ડિજિટલ યુગમાં ચકલી લુપ્ત થવાનું સૌથી મોટું કારણ મોબાઈલ રેડીએશન પણ ગણવામાં આવે છે. મોબાઈલ ટાવરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેથી તેમાંથી નીકળતા તરંગો ચકલીઓ માટે હાનિકારક બની રહ્યા છે. આ તરંગોથી ચકલીની દિશા શોધવા પ્રભાવિત કરતા હોવાનું પણ માનવામાં આવે છે. જેથી તેના પ્રજનન પણ વિપરીત અસર પડી રહી છે. વિશ્વમાં ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે ચકલી બચાવોની મુખ્ય થીમ સાથે દર વર્ષે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવતી કાલે શહેરમાં વિવિધ સંસ્થાઓ ચકલીઓના માળા, ચણ માટે દાણા અને કુંડાનું પણ વિતરણ કરાશે.
ચકલીનું સામાન્ય વજન અને ઊંચાઈ
સામાન્યતઃ ચકલીનું વજન 25થી 40 ગ્રામ અને ઊંચાઈ 16 સેમી અને પાંખો 21 સેમીની હોય છે. ચકલીની સામાન્ય આયુ પાંચ વર્ષની હોય છે જેથી નાની વયની જિંદગી છતાં પણ અબોલ જીવને રહેઠાણ માટે સંઘર્ષ કરવો પડે છે.















