![]()
– કુદરતનો મિજાજ બદલાયો : ખેડા અને આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલટો
– ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ત્રાટકતા વિઝિબિલિટી ઘટતા, વીજળી ગુલ થતા જનજીવન પ્રભાવિત : ખેતરમાં કાપણી કરેલા ઘઉં, તમાકુ સહિતના રવી પાકને નુકસાનની ભીતિ
– આણંદ શહેરમાં ૩૫થી વધુ અને જિલ્લામાં ૫૦થી વધુ વૃક્ષો ધરાશયી
નડિયાદ,ડાકોર: ખેડા અને આણંદ જિલ્લામાં ગુરૂવારે વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા તૈયાર રવી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્ર્બન્સની અસર હેઠળ ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ત્રાટકતા જનજીવન પ્રભાવિત થયું હતું. તેમજ કાપણી કરી ખેતરમાં રાખેલા ઘઉં તેમજ તમાકુના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો આથક પાયમાલીની દહેશત અનુભવી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કુદરતી આફતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે, ત્યારે ખેડા અને આણંદ જિલ્લામાં સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું. બપોર બાદ અચાનક પવનની ગતિમાં વધારો થયો હતો અને જોતજોતામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવન એટલો પ્રચંડ હતો કે અનેક વિસ્તારોમાં વીજ લાઈનો પર ઝાડની ડાળીઓ પડવાને કારણે વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. ખેડા જિલ્લામાં સાંજ પડતાની સાથે જ પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી, પરંતુ ખેડૂતો માટે આ આફત બનીને આવ્યો હતો. ખેતીવાડીના નુકસાનની વાત કરીએ તો હાલ ખેતરોમાં રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે. ખેડૂતોએ ઘઉંની કાપણી કરી લીધી છે અને અનેક જગ્યાએ ઘઉંના પુળા ખેતરમાં જ પડયા છે. આ ઉપરાંત તમાકુનો પાક પણ તૈયાર થઈ ગયો હોવાથી તેની પણ કાપણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ખેડા જિલ્લામાં વરસાદ પડવાને કારણે તૈયાર માલ પલળી ગયો છે. અગાઉ દિવાળી સમયે થયેલા વરસાદે તમાકુના ધરૂવાડીયાનો નાશ કર્યો હતો અને હવે જ્યારે પાક ઘરે લાવવાનો સમય થયો છે ત્યારે ફરી કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે.
વરસાદને કારણે તમાકુના પાકની ગુણવત્તા બગડવાની અને ઘઉંમાં કાળી પડી જવાની શક્યતા વધી ગઈ છે. ખેડા જિલ્લામાં માત્ર રવિ પાક જ નહીં પણ આગામી ઉનાળુ સીઝન માટે તૈયાર કરવામાં આવેલા બાજરીના ધરુને પણ આ કમોસમી વરસાદથી ફટકો પડયો છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલી મજૂરી પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારોમાં સન્નાટો વ્યાપી ગયો છે. તેજ પવનને કારણે ઉભા પાક પણ નમી પડયા છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડશે. જ્યારે નડિયાદ શહેરમાં મોડી સામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેમજ ગુરૂવારે નડિયાદમાં ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કમોસમી વરસાદની આગાહીને પગલે ભારે પવન અને ધૂળની આંધીને કારણે આયોજકોને કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે આણંદમાં પણ તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. તેજ ગતિએ પવન ફૂંકાતા આણંદ શહેરમાં ૩૫થી વધારે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૫૦થી વધુ વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે ઝુંપડાઓના પતરાંઓ પણ ઉડયા હતા. આ ઉપરાંત કેટલાક સ્થળોએ મંડપો પણ ઉડી ગયા હતા. શહેરમાં બે કલાક વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં કેટલાક સ્થળોએ રોડ પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. બાદમાં તંત્ર દ્વારા વૃક્ષો હટાવીને માર્ગ પૂર્વવત કરાયો હતો.
– વાયરો તૂટી પડતા, ફોલ્ટ સર્જાવાની ઘટનાથી તંત્રની કામગીરી સામે સવાલો
પવન ફૂંકાવાની શરૂઆત થતાની સાથે જ નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સામાન્ય પવનમાં પણ વીજ વાયરો તૂટી પડવાની કે ફોલ્ટ સર્જાવાની ઘટનાઓ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મોડી સાંજ સુધી અનેક સોસાયટીઓ અને ગામડાઓમાં અંધારપટ છવાયેલો રહ્યો હતો, જેને કારણે ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.















