![]()
Eid-ul-Fitr Celebrated in Chhota Udepur: પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા બાદ આજે (21મી માર્ચ) છોટા ઉદેપુર જિલ્લાના સાત તાલુકાઓમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ નવા વસ્ત્રો પરિધાન કરી ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆ માંગી હતી.
નસવાડીમાં ભાઈચારાનો સંગમ
નસવાડીના ઈદગાહ મેદાન ખાતે સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા. નમાઝ બાદ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળી ‘ઈદ મુબારક’ પાઠવ્યા હતા. આ ઉજવણીમાં નસવાડીના હિન્દુ ભાઈઓએ પણ સહભાગી થઈ મુસ્લિમ મિત્રોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. ભાઈચારાના આ દ્રશ્યોએ જિલ્લામાં કોમી એકતા અને અખંડિતતાના દર્શન કરાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો
વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે વિશેષ દુઆ
ઈદની નમાઝ બાદ કરવામાં આવેલી ખાસ દુઆમાં દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ અલગ-અલગ જગ્યાએ નમાઝ અદા કરી ખુશીઓ વહેંચી હતી. નાના બાળકોમાં ઈદને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેઓ વડીલોના આશીર્વાદ મેળવી ઈદી લેતા નજરે પડ્યા હતા.















