![]()
Chhota Udepur News : ગુજરાતના અંતરિયાળ ગામડાંઓ સહિતના ઘણા વિસ્તારોમાં અંધશ્રદ્ધાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જેમાં ઘણી વખત અંધશ્રદ્ધાની આડમાં ભુવા અને તાંત્રિક વિધિ કરતાં વ્યક્તિ હત્યા સહિતના ગુનાને અંજામ આપતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં છોટાઉદેપુરની એક ખાનગી હોસ્પિટલમાં બીમાર દર્દીનું મોત થતા તેના સગા વ્હાલાઓ ભુવાને લઈને મૃતકની ‘આત્મા’ લેવા પહોંચ્યા હતા. જ્યાં હોસ્પિટલના કેમ્પસની બહાર જ ભુવો પૂજા વિધિ કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
છોટાઉદેપુરમાં હોસ્પિટલ કેમ્પસ બહાર કલાકો સુધી તાંત્રિક વિધિ!
છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું મૃત્યું નીપજ્યું હતું. દર્દીના મોત બાદ મૃતકનો આત્મા લેવા માટે સગા વ્હાલાઓ એક ભુવાને હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં હોસ્પિટલની બહાર ભુવો પૂજા વિધિ કરતાં કલાકો સુધી ધૂણ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલ બહાર મૃતકના પરિવારજનો સહિત ઘણા લોકો ભેગા થયા હતા. ભુવાની વિધિ જોઈને સારવાર માટે આવતા દર્દી-પરિવાર ગભળાટ ફેલાયો હતો.
મૃતકનો ‘આત્મા’ લેવા ભૂવાને બોલાવ્યો, દર્દીઓમાં ડરનો માહોલ
હોસ્પિટલના કેમ્પસની બહાર ભુવા દ્વારા પૂજા-વિધિ કરવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો. અંધશ્રદ્ધા આ પ્રકારની ઘટનાને પગલે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે.
આ પણ વાંચો: અમદાવાદનો અનોખો વાહનચોર: એક્ટિવામાં પેટ્રોલ પૂરું થાય એટલે રસ્તામાં જ છોડી દેતો, અંતે આરોપી ઝડપાયો
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર નગરમાં થોડા મહિનાઓ પહેલા સરકારી હોસ્પિટલની બહાર પણ આવી ઘટનાઓ બની હતી. 5G ઇન્ટરનેટના યુગમાં અંધશ્રદ્ધાની ઘટનાઓ સામે તંત્રની નિષ્ક્રિયતા છતી થાય છે. સમાજ સુધારણા અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.















