પોતે જ રચેલી જાળમાં પાક. પોતે જ ફસાયું
દુનિયામાં આતંકવાદથી થયેલા મૃત્યુના 70 ટકા પાકિસ્તાન,બુર્કીના-ફાસો, નાઇજીરીયા, નાઇજર અને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોનાં થયા
નવી દિલ્હી : સ્વીડન સ્થિત ઇન્સ્ટીટયુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાનને આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સ્થાન આપ્યું છે, તે રીપોર્ટ મુજબ ૨૦૨૫માં જ પાકિસ્તાનમાં આતંકવાદથી ૧૧૩૯નાં મૃત્યુ સત્તાવાર રીતે નોંધાયા છે, બિન સત્તાવાર આંક તો આથી પણ વધુ હોવાની પૂરી શક્યતા છે. આ પૂર્વે ૨૦૧૩માં આતંકવાદથી થયેલા ૧૦૪૫ના મૃત્યુના આંકને પણ ૨૦૨૫નો આંક વટાવી ગયો છે. સતત છ વર્ષ સુધી પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલાં મૃત્યુનો આંક વધતો જ રહ્યો છે. તે છ વર્ષમાં પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલાં મૃત્યુનો આંક ૮,૫૭૪ સુધી પહોંચી ગયો છે. જે સરકારી સાધનો દ્વારા જ જાણવા મળ્યું છે. (બિન સત્તાવાર આંક આથી વધુ હોઈ શકે જ તે કહેવાની જરૂર પણ નથી.)
આ રીતે પાકિસ્તાને બુર્કીના-ફાસોને પણ પાછળ રાખી શિર્ષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં આતંકવાદથી થયેલા મૃત્યુ પૈકી ૭૦ ટકા મૃત્યુ તો માત્ર પાંચ દેશો અનુક્રમે પાકિસ્તાન, બુર્કીના ફાસો, નાઈજીરીયા, નાઈજર અને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં નોંધાયાં છે.
પાકિસ્તાનમાં આતંકવાદ સૌથી વધુ ખૈબર-પખ્તુનવા અને બલુચિસ્તાનમાં કેન્દ્રિત રહ્યો છે ત્યાં ૭૪ ટકાથી વધુ આતંકી હુમલાઓ થયા છે અને કુલ મોતનાં ૬૭ ટકા મોત પણ આ વિસ્તારોમાં જ નોંધાયા છે.
આ ઉછાળાનું મુખ્ય કારણ તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટીટીપી)ની વધી રહેલી કાર્યવાહી છે. આ ટીટીપી પાકિસ્તાનમાં સૌથી ઘાતક આતંકી સંગઠન મનાય છે. વૈશ્વિક સ્તરે તે ત્રીજું સૌથી ખતરનાક જૂથ છે. ૨૦૨૫માં ટીટીપીએ ૫૯૫ હુમલા કર્યા હતા જે ગત વર્ષ કરતાં ૨૪ ટકા વધુ છે. તેમાં ૬૩૭નાં મોત થયા હતા. આ આંક ૨૦૧૧ પછીનો સૌથી વધુ આંક છે. ટીટીપી ૨૦૦૯થી શરૂ થયેલા આતંકી હુમલાઓ પૈકી ૬૭ ટકા હુમલા માટે જવાબદાર છે તે બલુચિસ્તાન લિબરેશન આર્મી (બી.એલ.એ) કરતાં પાંચ ગણા વધુ છે.
આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોને ફરી સત્તા પ્રાપ્ત કર્યા પછી પાકિસ્તાનની સલામતી ઉપર ઘેરો પ્રભાવ પડયો છે તેને ટીટીપી દ્વારા સમર્થન મળી રહ્યું છે.
સૌથી વધુ ઉલ્લેખનીય વાત તે છે કે ૧૯૭૧માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાનને સજ્જડ પરાજય મળ્યો અને તેના ૯૩ હજાર સૈનિકોને ભારતના ઓફીસર કમાન્ડીંગ સમક્ષ શરણાગતી સ્વીકારવી પડી, તે પચી ઘૂંઘવાઈ રહેલાં પાકિસ્તાને મૂળ તો ભારતને તબાહ કરવાના હેતુથી આતંકવાદ શરૂ કર્યો. ભારત તો તબાહ થઈ ન શક્યું પરંતુ તે આતંકવાદે હવે પાકિસ્તાનને જ ભરડો લીધો છે. આમ પાકિસ્તાન પોતે જ રચેલી જાળમાં ફસાયું છે.















