Petrol Diesel Price Hike: એક તરફ યુદ્ધના કારણે દુનિયામાં ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવ વધી રહ્યા છે. તેવામાં રાહત આપવાના બદલે હિમાચલ પ્રદેશની સરકારે સેવાના નામે નવું ગતકડું કાઢ્યું છે. હિમાચલ પ્રદેશની જનતાને મોંઘવારીનો એક મોટો ઝટકો લાગ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 5 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે વિધાનસભામાં બિલ લાવીને તેને પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અનાથ બાળકો અને વિધવાઓ માટે નિયમિત આવક ઊભી કરવાના ઉદ્દેશ્યથી ઈંધણ પર ‘અનાથ અને વિધવા સેસ’ (Cess) લગાવવાની વાત કરી છે.
વિપક્ષના ભારે વિરોધ છતાં બિલ પસાર
કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ વિધાનસભામાં ‘હિમાચલ પ્રદેશ મૂલ્ય વર્ધિત વેરો (સુધારો) વિધેયક, 2026’ પસાર કર્યું. આજે 23 માર્ચે આ વિધેયક પર ચર્ચા થઈ હતી અને વિપક્ષના જોરદાર વિરોધ છતાં તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. વિપક્ષ આ વધારાને પહેલેથી જ મોંઘવારીથી પીડાતી જનતા માટે બિનજરૂરી બોજો ગણાવી રહ્યો છે.
સેવાના નામે ભાવ વધારાના સોગઠાં
વિપક્ષનું કહેવું છે કે આ વધારાથી ડીઝલ 90 રૂપિયાથી વધુ અને પેટ્રોલ 100 રૂપિયા સુધી પહોંચી જશે, જે પડોશી રાજ્યોની સરખામણીમાં વધી જશે. હિમાચલ પ્રદેશમાં પહેલાથી જ પેટ્રોલ પર 17 ટકા અને ડીઝલ પર 13.9 ટકા ટેક્સ છે. પાંચ રૂપિયા વધાર્યા બાદ સામાન્ય જનતાની કમર તૂટી જશે. વિશ્વની વર્તમાન પરિસ્થિતિ જોતા ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે, તેવામાં પાંચ રૂપિયા સેસ લગાવવો ઉચિત નથી. અગાઉ પણ સરકાર પેટ્રોલ-ડીઝલ પર 7 રૂપિયા વધારી ચૂકી છે. વિપક્ષે ‘અનાથ અને વિધવા’ શબ્દોના ઉપયોગ પર પણ વાંધો વ્યક્ત કર્યો હતો.
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થશે વધારો: વિપક્ષ
વિપક્ષે આ નિર્ણયની ઝાટકણી કાઢતા કહ્યું કે, પેટ્રોલ ડીઝલ પર ભાવ વધારાની અસર માત્ર સામાન્ય માણસ પર જ નહીં પરંતુ ખેડૂતો અને દર વર્ષે હિમાચલ આવતા 3 કરોડથી વધુ પ્રવાસીઓ પર પણ પડશે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધશે અને પહાડો પર ઘર બનાવવું મોંઘું થશે. ઈંધણ મોંઘું થવાથી બાંધકામ સામગ્રી, સફરજન અને ખેડૂતોના પાકના પરિવહન તેમજ બસના ભાડામાં પણ વધારો થઈ શકે છે. પડોશી રાજ્યોમાંથી હવે કોઈ હિમાચલમાં ઈંધણ ખરીદશે નહીં, જેનાથી રાજ્યને નુકસાન થશે.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શું કહ્યું?
મુખ્યમંત્રી સુખુએ જણાવ્યું હતું કે સરકારનો લક્ષ્યાંક સમાજના નબળા વર્ગોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું, ‘અમે વિધવાઓ અને અનાથ બાળકો માટે કંઈક કરી રહ્યા છીએ તો ભાજપ તેનો વિરોધ કરી રહી છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર 27 રૂપિયા સેસ લે છે. પંજાબ અને હરિયાણા જેવા પડોશી રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ મોંઘું છે, હિમાચલમાં વધારા પછી પણ ત્યાંના કરતા સસ્તું રહેશે. મુખ્યમંત્રીએ વિપક્ષને સલાહ આપી કે તેઓ કેન્દ્રમાં જઈને સેસ ઘટાડવાની માંગ કરે.’
કલ્યાણકારી યોજનાઓમાં વપરાશે રકમ
મુખ્યમંત્રીએ કહ્યું કે આ સેસ એ દિશામાં એક નક્કર પહેલ છે જેનાથી જરૂરિયાતમંદોને સતત સહાય મળી રહેશે. સરકારનો દાવો છે કે આ સેસમાંથી મળેલી તમામ રકમ ]અનાથ અને વિધવા વેલ્ફેર ફંડ’માં જમા થશે, જેનો સીધો ઉપયોગ કલ્યાણકારી યોજનાઓ માટે કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઈનો લાગી, વાહન ચાલકો પરેશાન
વિપક્ષનું વોકઆઉટ
વિધાનસભામાં બિલ પસાર થયા બાદ હવે તેને મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી મળતાની સાથે જ તે કાયદો બની જશે અને ભાવવધારો અમલી બનશે. આના વિરોધમાં વિપક્ષે વિધાનસભા સત્રમાંથી વોકઆઉટ કર્યું હતું.















