– બુધેલથી તરસમીયા આવતી મહીપરીએજની પાણીની લાઈન 10 દિવસથી લીકેજ
– લાઈનનું રીપેરીંગ કામ હાથ ધરવાનુ હોવાથી વર્ધમાનનગર, દિલબહાર, બાલયોગીનગર ઇએસઆર આધારિત વિસ્તારોને પાણી નહીં મળે
ભાવનગર : બુધેલથી તરસમીયા આવતી મહીપરીએજની પાણીની લાઈન લીકેજ થઈ છે તેથી લાઈનનું રીપેરીંગ કામ કરવાનું અનિવાર્ય હોવાથી આગામી તા. ૨૫ માર્ચ-૨૦૨૬ને બુધવારના રોજ તરસમિયા ફિલ્ટર ખાતે રો-વોટર બંધ રહેશે, જેના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી સપ્લાય અનિયમિત રહેશે.
શહેરના તરસમિયા ફિલ્ટરના ત્રણ ઇએસઆર આધારિત રપથી વધુ વિસ્તારમાં બુધવારના રોજ સવારે ૪.૦૦ કલાકથી બપોરે ૧૨.૩૦ કલાક સુધીનો પાણી સપ્લાય અનિયમિત રહેશે, જેમાં વર્ધમાનનગર ઈએસઆર આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા (ભરતનગર), બે માળિયા, હરિઓમ નગર, વૃંદાવન સોસાયટી, કૌશલ્ય પાર્ક, સીતારામ ચોક આજુબાજુનો સમગ્ર વિસ્તાર તેમજ તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડેન્સી-૧-૨-૩-૪, તરસમીયા ગામ, અધેવાડા ગામતળ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે.
દિલબહાર ઈએસઆર આધારિત હિલડ્રાઈવ, સિંધુનગર, ઇસ્કોન મેગા સીટી, આઝાદનગર, સાગવાડી, કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન, સાગવાડી, રામનગર, અને તેની આજુ-બાજુના વિસ્તારમાં તેમજ બાલયોગીનગર ઈએસઆર આધારિત ગાયત્રીનગર, ખારસી, ધાવડીમા વાળો ખાંચો, શહેર ફરતી સડક, રૂવા ગામ, પાંચવટી ચોક, ગાયત્રીનગર, આવાસ યોજના ઘોઘારોડ, મારૂતિનગર, બાપુનગર, અખિલેશ સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી મળશે નહીં. રીપેરીંગ કામગીરી વહેલી પૂર્ણ થશે તો પાણી જે તે વિસ્તારમાં આપવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.
ઉનાળાની ગરમીમાં જ પાણીના ધાંધીયા
ભાવનગર શહેરના કેટલાક વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં જ પાણી ધાંધીયા શરૂ થઈ ગયા છે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાળિયાબીડ વિસ્તારમાં અઠવાડીયા પૂર્વે પાણી આવ્યુ ન હતુ અને એક દિવસ મોડુ પાણી આપવામાં આવ્યુ હતુ, જયારે હવે બુધવારે પાણી કાપ રહેવાનો હોવાથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.















