![]()
Shivraj Singh Chauhan : મંગળવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં અનેક ખેડૂતોની આવક માત્ર બમણી જ નહીં, પરંતુ અનેક ગણી વધી છે.
આવકમાં 2 થી 8 ગણો વધારો
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયના પ્રશ્નનો જવાબ આપતા શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, ખેડૂતોની આવકમાં બે થી ત્રણ ગણો અને કેટલાક કિસ્સાઓમાં તો આ આંકડો આઠ ગણો વધ્યો છે. તેમણે અગાઉની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે, પહેલા ગામડાઓમાં વીજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓનો ભારે અભાવ હતો.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધ વચ્ચે લેબનોનમાં વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવાની તૈયારીમાં ઈઝરાયલ? ચારે તરફથી હુમલા શરૂ
મધ્ય પ્રદેશનું ઉદાહરણ 1 ના બદલે 3 પાક
પોતાના ગૃહ રાજ્યનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, “પહેલા મધ્ય પ્રદેશમાં વીજળીની સ્થિતિ એટલી ખરાબ હતી કે ખેડૂતો માત્ર એક જ પાક લઈ શકતા હતા. વીજળી આવતી ઓછી અને જતી વધુ હતી, ઘણીવાર તો ખેતર સુધી વીજળી પહોંચતી જ નહીં પણ બિલ જરૂર આવતા.” હવે 24 કલાક વીજળી અને સિંચાઈની સુવિધા મળતા ખેડૂતો વર્ષમાં ત્રણ-ત્રણ પાક લઈ રહ્યા છે, જેના કારણે તેમની આવક વધી છે.
કૃષિ બજેટમાં જંગી વધારો
કેન્દ્રીય મંત્રીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, પહેલા કૃષિ બજેટ માત્ર 19,306 કરોડ રૂપિયા હતું, જે હવે વધારીને 1.30 લાખ કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું છે. જો કૃષિ અને તેની સાથે જોડાયેલા તમામ ક્ષેત્રોને ભેગા કરવામાં આવે તો બજેટ 5 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગયું છે.ઉત્પાદનનો દર જે પહેલા 14% ની આસપાસ હતો, તેને વધારીને 44% સુધી પહોંચાડવામાં આવ્યો છે.
સરકારી સહાય અને યોજનાઓ
સરકાર ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વર્ષે 6,000 રૂપિયાની ‘કિસાન સન્માન નિધિ’ સીધી બેંક ખાતામાં આપી રહી છે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતોને સરળતાથી લોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.















