![]()
Jamnagar Corporation Election : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં યોજાનાર છે. ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાંથી આવેલા બે કોર્પોરેટરો સહિત 19 લોકોને ટિકિટ જાહેર કરી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની કુલ 64 પૈકી 19 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યાં ફાઇટ થવાની વધુ શક્યતા છે ત્યાં અગ્રતાના ધોરણે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદ કરી લીધા છે. જેથી કરીને આ ઉમેદવારોને પ્રચાર પ્રસારનો વધુ સમય મળી શકે. આમ આદમી પાર્ટીની જાહેરાત મુજબ વોર્ડ નં.2 ની કુલ 4 બેઠકમાંથી બે બેઠક માટે જતમલેક હનીફ અને જયદિપસિંહ ઝાલાને ટિકીટ આપવામાં આવી છે.
વોર્ડ નં.3 માં નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.5 માં મહેન્દ્રસિંહ ઝાલાને ટિકીટ આપવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નં.12 માં આમ આદમી પાર્ટી માટે સોફટ ટાર્ગેટ મનાવામાં આવે છે. તેમા 4 પૈકી 3 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાંથી બે ઉમેદવાર ગત ટર્મમાં કોંગ્રેસના કોર્પોરેટર હતા. અને થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ્યા હતા. આ ઉમેદવારમાં રિઝવાન હુશેન, જૈનબબેન ખફી અને અસ્લમ ખીલજી ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.13 માંથી પિયુષ વશીયર, લાલચંદ ધાનવાણી અને નર્મદાબેન જાદવ, વોર્ડ નં.15 માંથી બ્રિજેશ શાંતિલાલ ફળદુ, સુધાબેન મકવાણા અને મનિષભાઈ રાઠોડ અને વોર્ડ નં.16 માં નિમેષભાઈ ભાલારા, પૂજાબેન દવે અને મનિષાબેન મયુરભાઈ બંભરોલીયાને ટિકિટ આપવામાં આવી છે.
આ ઉપરાંત વોર્ડ નં.7 માટે વાઘાણી ભાવનાબેન, જતિનકુમાર કોઠીયા અને મંજૂબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે.આ રીતે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાની 64 પૈકી 19 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં હાલની સ્થિતિ જોતા ભાજપનું એક ચક્રી શાસન છે. ત્યારે બળવો અને વિરોધ વચ્ચે આપ પાર્ટી પણ મેદાનમાં આવતા ત્રિપાંખીયો જંગ થશે તેમાં આપની એન્ટ્રીથી ભાજપને ફાયદો થશે કે કોંગ્રેસ ને નુકશાન તે આવનારો સમય કહેશે. પરંતુ હાલ તો ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ નિશ્ચિત છે.















