![]()
Lockdown Clarification : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લૉકડાઉન લાગુ થવાની અફવાઓ જોર પકડી રહી હતી. આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ભારત સરકાર પાસે લૉકડાઉન લાદવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી અને આવી અફવાઓ તદ્દન ખોટી છે.
શાંતિ અને એકતા જાળવવા અપીલ
મંત્રીએ જણાવ્યું કે અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ નાગરિકોએ ગભરાવાની કે પેનિક (Panic) થવાની જરૂર નથી. સરકાર ઊર્જા, સપ્લાય ચેઈન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ પર દરરોજ ‘રિયલ ટાઈમ’ નજર રાખી રહી છે. તેમણે લોકોને શાંત રહેવા અને જવાબદારીપૂર્વક વર્તવા અપીલ કરી છે.
ઈંધણની સપ્લાય અને ભાવ પર નિયંત્રણ
સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ₹13થી ઘટાડીને ₹3 અને ડીઝલ પર શૂન્ય કરી દીધી છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મોંઘું થવા છતાં ભારતમાં ભાવ વધારો અટકાવી શકાય. હરદીપ સિંહ પુરીએ વધુમાં જણાવ્યું કે ભારત પાસે આગામી 60 દિવસ માટે પૂરતો ક્રૂડ ઓઈલનો જથ્થો સુરક્ષિત છે. ઈરાન યુદ્ધને કારણે સપ્લાય પ્રભાવિત થઈ હોવા છતાં અન્ય સ્ત્રોતો દ્વારા પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર કોઈપણ પડકારજનક સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.















