![]()
– મનપાની ઘોર બેદરકારી સામે લોકોમાં આક્રોશ
– નિર્દોષ નાગરિકના મોત બાજ જાગેલા મનપા તંત્રએ ગણતરીની મિનિટોમાં ખાડા પૂરો દીધો
નડિયાદ : નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિર પાસે ગટરની બાજુમાં પડેલા વાહન સાથે આધેડ ખાબકતા ઘટના સ્થળે જ મોત થયું હતું. લાંબા સમયથી ઉભરાતી ગટર અને બિસ્માર રસ્તાની રજૂઆતો છતાં મહાનગરપાલિકાએ ઉપેક્ષા કરતા નિદોર્ષ નાગરિકનું મોત થયા બાદ તંત્ર ગણતરીની મિનિટોમાં ખાડો પુરી દીધો હતો.
શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની આસપાસનો સીસી રોડ ઉખડી ગયો હોવાના કારણે મોટા ખાડા પડી ગયા હતા. ગટર ઉભરાતી હોવાથી રસ્તા પર લીલ જામી ગઇ હોવા છતાં મનપા દ્વારા સમારકામ કરવામાં આવ્યું ન હતું. બપોરના ૧.૧૦ વાગ્યે આધેડ મોહમદ સલીમ મલેક વાહન સાથે પસાર થઇ રહ્યાં હતા. ત્યારે અચાનક ખાડાના કારણે પટકાયા હતા અને અકસ્માતમાં આધેડ મોહમદ સલીમ મલેકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કરીને પીએમની તજવીજ હાથ ધરી હતી. આ ઘટના બાદ પાલિકાએ ઉતાવળે ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરી છે.
આ ઘટના અંગે તેમના મોટાભાઇના જણાવ્યા મુજબ, તેમનો ભાઇ કામ અર્થે નિકળ્યો હતો અને રસ્તાની બિસ્મારને કારણે અકસ્માતનો ભોગ બન્યો હતો.
આ અકસ્મામાં એક કલાક પહેલા જ પશ્ચિમ વિસ્તારમાં ૫૦ કરોડના ખર્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બીજ તરફ સામાન્ય ખાડાના કારણે નાગરિકે જીવ ગુમાવ્યો હતો.
મૃતકની પત્નીને પણ ફ્રેકચર સહિતની ઇજા થઇ
આ ઘટનાના સમાચાર સાંભળીને ઘરની બહાર દોડી આવેલા મૃતકના પત્નીને પણ ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પિતાના આકસ્મિક મોતથી પરિવારની હાલત કફોડી કરી દીધી છે, જ્યારે બીજી તરફ જાગૃત નાગરિકો તંત્ર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
તંત્રએ ખાડો પુરવાની આટલો સમય વિલંબ કેમ કર્યો છે સવાલ ઉભા થયા
પીજ ભાગોળના સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ જણાવ્યુ છે કે, જો ખાડો પૂરવાની કામગીરી આટલી ઝડપથી થઈ શકતી હતી તો તંત્ર આટલો સમય કેમ વિલંબ કરતું હતું. તેવો સવાલો મનપા સામે થઇ રહ્યાં છે.















