ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને નિવાસની સુવિધા આપતા 351 શિક્ષણ ભવન અભિયાનનું 254મું ભવન ઝીલીયામાં સાકાર….
રાધનપુર. એબીએનએસ. અનિલ રામાનુજ : પાટણ જિલ્લાના ઝીલીયા ગામે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલરૂપે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા નવનિર્મિત માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે 80 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત આ ભવન 351 શિક્ષણ ભવન અભિયાનનું 254મું ભવન છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, સાંસદ ગેનીબેન ઠાકોર, પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઝીલીયા સ્થિત શ્રી ગાંધી આશ્રમ અને શ્રી આદર્શ કુમાર છાત્રાલય વર્ષ 1964થી શિક્ષણસેવામાં કાર્યરત છે. સંસ્થા દ્વારા પ્રાથમિકથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને હાલ 11 હાઈસ્કૂલો કાર્યરત છે. ખાસ કરીને ગ્રામીણ, પછાત, ખેતમજૂર, માલધારી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ અભ્યાસની તક મળે તે હેતુથી આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે આ અભિયાન વિનોબા ભાવેના વિચારો થી પ્રેરિત છે અને દેશના 18 રાજ્યોમાં શિક્ષણ અને સેવાકાર્ય ચાલી રહ્યું છે. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગરીબ, વંચિત અને પીડિત વર્ગ સુધી શિક્ષણ અને સંસ્કાર પહોંચાડવાનો આ પ્રયાસ સમાજ માટે આશીર્વાદરૂપ છે.ઝીલીયા ગામે લોકાર્પિત આ કુમાર છાત્રાલય ગ્રામ્ય અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને નિવાસની નવી તક ઊભી કરશે.















