અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના નવાપુરા સ્થિત જુના બહુચરાજી માતાના મંદિરમાંથી દર વર્ષે ચૈત્ર મહિનામાં નીકળતો 350 વર્ષ જૂનો ઐતિહાસિક પગપાળા સંઘે આજે પણ અવિરત રીતે પરંપરાગત રીતે તેની પરંપરા જાળવી રાખી છે.

કડકકતી ગરમીમાં છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે ચાલતા અમદાવાદના નવપુરથી નીકળતા સંઘ આજે પણ તેની અતૂટ શ્રદ્ધા અને પરંપરા જાળવી રાખી છે.આ પરંપરા માતાજીના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ દ્વારા શરૂ કરાયેલી હોવાનું માનવામાં આવે છે.

આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના નિજ મંદિરમાંથી જ પ્રસ્થાન કરી શક્તિપીઠ બહુચરાજી સુધી પહોંચે છે. એમ કહી શકાય કે માતાજીના એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જતો આ એકમાત્ર એવો સંઘ છે, જે અન્ય સંઘોથી અલગ ઓળખ આપે છે. ભક્તો પાંચ રાત્રી સુધી નિયમપૂર્વક ઉપાસના કરીને છઠ્ઠા દિવસે દર્શન સાથે ખુલ્લા પગે ચાલી યાત્રા પૂર્ણ કરે છે.

આ સંઘમાં માતાજીની ધજાનું વિશેષ મહત્વ છે અને ભક્તો ખુલ્લા પગે યાત્રા કરીને પોતાની અડગ શ્રદ્ધા વ્યક્ત કરે છે. માર્ગમાં આરતી-ભોગ અને વિવિધ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે યોજાય છે. વર્ષોથી ચાલતી આ પરંપરા ભક્તોને માતાજી સાથે જોડે છે અને નવી પેઢીને પણ આસ્થા તરફ પ્રેરિત કરે છે.

આ સંઘમાં આશરે 200 જેટલા લોકો જોડાય છે અને નિજ મંદિરે પહોંચી ભકતોના ભજન કીર્તન સાથે ધજા અર્પણ કરવામાં આવે છે. શ્રદ્ધા ભક્તિ સાથે 350 વર્ષથી ચાલતો આવતો સંઘ આજે પણ અડગ ચાલી રહ્યો છે. જેની પૂર્ણ માહિતી હર્ષભાઈ સંચાલક દ્વારા આપવામાં આવી હતી.















