![]()
Jamnagar Theft Case : જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં તસ્કરોના પરોણા થયા હતા, અને એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી તસ્કરો આશરે 77 મણ કપાસનો જથ્થો ચોરી કરી લઈ ગયા હતા, આથી આ મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને અજાણ્યા તસ્કરો સામે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કાલાવડ તાલુકાના ખીજડીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધીરજભાઈ પરસોત્તમભાઈ કથીરિયા નામના 55 વર્ષના ખેડૂતે ખીજડીયા ગામ નજીક ખેતી વિસ્તારમાંથી મોટા પાયે કપાસની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ તા.30 માર્ચ 2026ના સવારે 10:00 વાગ્યાથી તા.31 માર્ચ 2026ના સવારે 09:00 વાગ્યા દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ ખીજડીયા ગામના કેનાલ સીમ વિસ્તારમાં આવેલા ખેતરોને નિશાન બનાવ્યા હતા.
જેમાં ફરિયાદી ધીરજભાઈ પરસોતમભાઈ કથીરીયાની વાડીમાંથી રૂની અંદાજે 10 ભારીઓ (20 મણ) તેમજ અન્ય ખેડૂતોના ખેતરોમાંથી પણ કપાસની ચોરી કરવામાં આવી હતી. જેમાં તરુણભાઈની વાડીમાંથી અંદાજે 25 મણ, ચંદ્રેશભાઈની વાડીમાંથી અંદાજે 20 મણ અને વિઠ્ઠલભાઈની વાડીમાંથી અંદાજે 12 મણ કપાસ ચોરી થઈ ગયો હતો. આ રીતે કુલ મળીને અંદાજે 77 મણ કપાસ જેની કિંમત આશરે 77,000 થાય છે, તે અજાણ્યા ઈસમો ચોરી કરી લઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. પંચકોશી એ.ડીવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.















