– ચરોતરમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટયો
– ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની પરંપરાગત મતબેન્કમાં ગાબડું પાડવા ભાજપે પાયાના સ્તરેથી તૈયારીઓ શરૂ કરી ઃ કોંગ્રેસે રણનીતિમાં પરિવર્તન લાવીને જિલ્લાની કોઈ પણ બેઠક બિનહરીફ ન જાય તે માટે કમર કસી
નડિયાદ: ખેડા અને આણંદ જિલ્લામાં લાંબા સમયના અંતરાલ બાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનો શંખનાદ ફૂંકાયો છે. સતત વિજય રથ પર સવાર ભાજપ સામે આ વખતે કોંગ્રેસે નવા સંગઠન માળખા સાથે મેદાને ઉતરી વ્યુહરચના બદલી છે, જેનો આ ચૂંટણીમાં ખરો લીટમસ ટેસ્ટ થશે.
ખેડા અને આણંદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિાનો પ્રશ્ન છે. ખેડામાં નવા વરાયેલા જિલ્લા પ્રમુખ માટે આ પ્રથમ મોટી કસોટી છે. પક્ષમાં શિસ્ત જળવાઈ રહે અને આંતરિક ખેંચતાણ જાહેરમાં ન આવે તે પ્રમુખ માટે સૌથી મોટી ચેલેન્જ બની રહેશે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની જે પરંપરાગત મતબેંક છે, તેમાં ગાબડું પાડવા માટે ભાજપે પાયાના સ્તરેથી તૈયારીઓ શરૂ કરી છે. ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ પ્રતિનિધિઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે મોવડી મંડળના શરણે પહોંચ્યા છે. કોંગ્રેસ પક્ષે આ વખતે રણનીતિમાં પરિવર્તન લાવીને જિલ્લાની કોઈ પણ બેઠક બિનહરીફ ન જાય તે માટે કમર કસી છે. ખાસ કરીને નડિયાદ શહેરમાં મનપાના તમામ ૧૩ વોર્ડમાં સક્ષમ ઉમેદવારો શોધવા માટે સ્થાનિક સ્તરે બેઠકોનો દોર શરૂ કર્યોે છે. જિલ્લા પંચાયતની ચૂંટણી ઘણા લાંબા સમય પછી યોજાઈ રહી હોવાથી ગ્રામીણ મતદારોનો મિજાજ પારખવો બંને પક્ષો માટે અનિવાર્ય બન્યો છે. સત્તાધારી પક્ષ ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી રોકવા અને કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ લડાઈ અત્યંત રોમાંચક બની રહેશે. દાવેદારોની સંખ્યા જોતા ટિકિટ ન મળતા નારાજ થનારા કાર્યકરોને મનાવવા તે પણ પક્ષો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ શકે છે.
– દિગ્ગજોના પત્તા કપાવાની સંભાવના
ભાજપમાં પ્રદેશ સ્તરના કડક નિયમોનું પાલન કરવામાં આવશે તો જિલ્લામાં અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણીના મેદાનમાંથી હટવું પડશે. સંગઠનમાં હોદ્દો ધરાવતા વ્યક્તિના પરિવારના સભ્યોને ટિકિટ ન આપવી અને સતત ૩ ટર્મથી સત્તા ભોગવતા નેતાઓને આ વખતે આરામ આપવાની નીતિ જો અમલી બનશે તો અનેક જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાઓને તક મળી શકે છે. જોકે, હાલમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક નેતાઓએ પોતાના પરિવારજનો માટે દાવેદારી નોંધાવી હોવાથી પક્ષ કયા માપદંડ અપનાવે છે તેના પર સૌની નજર છે.
– કોંગ્રેસમાં પાયાના કાર્યકરોને મહત્વ
કોંગ્રેસ દ્વારા આ વખતે સંગઠનમાં સક્રિય એવા નાનામાં નાના કાર્યકરને પણ મેદાનમાં ઉતારવાની તૈયારી બતાવાઈ છે. પક્ષના અદના હોદ્દેદારોથી માંડીને પાયાના કાર્યકરો પોતપોતાના વિસ્તારમાં મજબૂત દાવેદારી કરી રહ્યાં છે. નેતૃત્વ દ્વારા એવો નિર્દેેશ આપવામાં આવ્યો છે કે, જે કાર્યકર સ્થાનિક સ્તરે લોકપ્રિય હોય અને લોકોના પ્રશ્નો માટે લડતો હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે, જેથી ભાજપના શિસ્તબદ્ધ માળખા સામે જનશક્તિનો પ્રતિકાર કરી શકાય. જો કે, આ વચ્ચે કોંગ્રેસ સામે પોતાનું અસ્તિવ પુનઃ ઉભુ કરવા માટેનો સૌથી મોટો પડકાર છે.
– આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ
રાજ્યની સ્થાનિક સંસ્થાઓની ચૂંંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ કરમસદ-આણંદ મનપાના પ્રથમ જંગ સાથે જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને છ પાલિકાના ચૂંંટણી યોજાનાર પગલે રાજકીય ગતિવિધિઓ તેજ થવા પામી છે. આ સાથે છેલ્લા અઢી વર્ષ ઉપરાંતથી બોરસદ, સોજીત્રા પાલિકામાં વહિવટદારનું શાસન હતું તે હવે મુક્ત થવાનું ચિત્ર સ્પષ્ટ થતા સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આ ઉપરાંત તારાપુર પાલિકાની પ્રથમ ચૂંટણી યોજાનાર હોવાથી રાજકીય પક્ષો દ્વારા ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
– કરમસદ-આણંદ મનપાની બેઠકો માટે ભાજપમાં દાવેદારોની લાંબી કતાર
છેલ્લા બે દાયકાથી આણંદ, વિદ્યાનગર, કરમસદ પાલિકામાં ભાજપના શાસન બાદ ગતવર્ષે કરમસદ-આણંદ મહાપાલિકા બનતાં તેમાં ત્રણ પાલિકા સહિત ચાર ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બુધવારે પ્રદેશ ભાજપની નિરિક્ષક ટીમના ત્રણ સભ્યો દ્વારા વિદ્યાનગર સ્થિત કમલમ ખાતે કરમસદ-આણંદ મનપાની આગામી ચૂંટણી અંતર્ગત ઉમેદવાર પસંદગીની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં મનપામાં સમાવિષ્ટ તેર વોર્ડની બાવન બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટયો હોય તેમ ૩૫૦ જેટલા દાવેદારો દ્વારા પક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરતાં નિરિક્ષક ટીમ પણ અવઢવમાં મુકાઈ હોવાનું જણાયું છે.















