![]()
બોર્ડની પરીક્ષાઓ પૂરી થયો બાદ શિક્ષકોને રાષ્ટ્રીય કામગીરીનો હવાલો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન અને મત ગણત્રી સહિતની કામગીરી શિક્ષકોને સોંપાશે : આગામી સપ્તાહથી ઓર્ડર ઇસ્યૂ થશે
રાજકોટ, : ધો. 10 અને ધો. 12ની ઉત્તરવહી ચકાસણીનું કામ પુરૂં થતાં શિક્ષકોને હવે આગામી તા. 20થી શરૂ થનાર વસતી ગણત્રીની કામગીરીના ઓર્ડર ઇસ્યૂ થશે. વધુમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઇ હોવાથી મતદાન અને મત ગણત્રીની કામગીરીમાં પણ શિક્ષકોને સામેલ કરવામાં આવનાર હોવાનું જણાવી શિક્ષક સંઘના આગેવાનોએ એપ્રિલ દરમિયાન શિક્ષકો માટે શાળાકીય શિક્ષણ ઉપરાંત રાષ્ટ્રીય કામગીરી પણ શિક્ષકોએ સંભાળવાની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ છેલ્લા એક પખવાડિયાથી ઉત્તરવહી ચકાસણીની કામગીરી ચાલી રહી હતી. જે બે દિવસ પહેલાં જ પૂરી થઇ છે તમામ ઉત્તરવહી બોર્ડના ડેટા સેન્ટરોને મોકલી આપવામાં આવી છે. જ્યાં દરેક પરીક્ષાર્થીના પરિણામ માટેની માર્કશીટ તૈયાર થશે. દરમિયાન શિક્ષકોને આગામી તા. 20થી શરૂ થનાર વસતી ગણતરીની કામગીરી સોંપવામાં આવનાર હોવાથી તેની તાલીમ અને કામગીરી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન આગામી તા. 26 તથા મત ગણત્રી તા. 28 એપ્રિલના હોવાથી મતદાન અને મત ગણત્રીના કામોમાં પણ શિક્ષકોને સામેલ કરવામાં આવશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને આગામી સપ્તાહથી વસતી ગણત્રી અને મતદાન- મત ગણત્રીની કામગીરીના ઓર્ડર ઇસ્યૂ થશે. ઉનાળુ વેકેશન પહેલાં શિક્ષકો માટે આ કામગીરી મહત્વપૂર્ણ બની રહેશે.















