![]()
ઉંદર,
ગાય તેમજ નોળિયા કરડવાની ઘટનાઓ પણ બની
૪૬૪ લોકોને રખડતા શ્વાન અને ૧૫ લોકોને ભૂંડે બચકુ ભર્યા ઃ પાલતુ પશુઓના
હુમલામાં પણ વધારો
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં
રખડતા શ્વાન અને ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. છેલ્લા એક માસમાં ૫૨૨ જેટલા પશુ કરડવાના
કેસ સિવિલ હોસ્પિટલે નોંધાયા છે, જેમાં બાળકો અને વૃદ્ધો વધુ
ભોગ બન્યા છે. શહેરમાં એજન્સીઓ પશુઓને પકડવામાં રસ ન હોય સ્થિતિ વિકટ બની છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક
વધારો થયો છે. શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, છેલ્લા એક
મહિનામાં કુલ ૫૨૨ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૪૬૪ લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા
છે, જેમાંથી ૨૨ વ્યક્તિઓની હાલત ગંભીર જણાવાઈ છે. આ ઉપરાંત ૩૪
કેસ પાલતુ શ્વાન અને અન્ય કેસમાં ઉંદર, ગાય તેમજ નોળિયા કરડવાની
ઘટનાઓ સામે આવી છે.
વઢવાણ,
જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ભૂંડનો આતંક પણ વરતાઈ રહ્યો છે,
જ્યાં ૧૫ જેટલા લોકોને ભૂંડે ઇજા પહોંચાડી છે. ખાસ કરીને શેરીઓમાં
રમતા નાના બાળકો ભૂંડના હુમલાનો ભોગ બની રહ્યા છે. પશુઓના આતંકને કારણે રાત્રિના
સમયે બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. વધતા કેસોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ
તંત્ર દ્વારા હડકવા વિરોધી રસી (એન્ટી-રેબીઝ)નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાયો છે.
રખડતા પશુઓને પકડવા એજન્સીઓ તૈયાર નથી
મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના જણાવ્યા અનુસાર, રખડતા
શ્વાન અને ભૂંડ પકડવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ એજન્સીએ રસ દાખવ્યો નથી. હવે તંત્ર દ્વારા ફરીથી રિ-ટેન્ડરિંગ
પ્રક્રિયા હાથ ધરી પશુઓને પાંજરે પૂરવાની વિચારણા કરવામાં આવી રહી છે. સ્થાનિક
રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે મનપા વહેલી તકે
નક્કર આયોજન કરે જેથી નાગરિકો પશુઓના હુમલાથી બચી શકે.















