![]()
Vadodara City Bus : વડોદરા શહેરમાં ફરતી ઓટો રીક્ષામાં માત્ર ત્રણ કે ચાર કે પાંચ વ્યક્તિ યેન કેન બેસીને મુસાફરી કરે છે, જ્યારે મોટરસાયકલ પર વધુમાં વધુ ત્રણ વ્યક્તિ બેસી શકે છે. પરંતુ વડોદરાની સીટી બસમાં હકડે ઠઠ મુસાફરો ભરવામાં આવે છે. એક જ બસમાં બે બસ જેટલા મુસાફરો હોય છે. આમ કરીને સરેઆમ નિયમ ભંગ થાય છે. કોઈ આકસ્મિક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નાર્થ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરમાં વસ્તી દિન પ્રતિદિન કુદકે ને ભુસકે વધી રહી છે. જો બાઈક પર મુસાફરી કરવી હોય તો વધુમાં વધુ ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકે છે તેમાં પણ ક્યારેક પોલીસની ઢોંસમાં પકડાઈ જવાથી તાત્કાલિક ધોરણે દંડનીય કાર્યવાહી રૂપે મેમો મળી જતો હોય છે. આ ઉપરાંત સર્કલ રિક્ષામાં પણ વધુમાં વધુ પાંચ મુસાફરો મુસાફરી કરી શકે છે આ તમામ મુસાફરોને રિક્ષામાં યેનકેન બેસવાની સગવડ પણ મળતી હોય છે.
જ્યારે બીજી બાજુ વડોદરા સીટી બસની સર્વિસ જુદા જુદા રૂટ પર ખૂબ જ ઓછી છે ત્યારે બસની રાહ જોઈને ઊભા રહેતા મુસાફરો બસ આવતા જ તેમાં ઘેટા બકરાની જેમ ભરાઈ જતા હોય છે. જોકે આ સામે બસ કંડકટર પણ પેસેન્જરને કોઈ મનાઈ ફરમાવી શકતા નથી. આમ છતાં પણ જો ડ્રાઇવરને બસ હંકારવા માટે કંડકટર લીલી ઝંડી આપે તો ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. પરિણામે ડ્રાઇવર કંડકટર બંનેની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
જ્યારે બીજી બાજુ સિટી બસમાં બેસવાની પણ જગ્યા ન હોય તો મુસાફરો બસમાં ઊભા રહીને પણ મુસાફરી કરતા જ હોય છે. આવી મુસાફરી કરવાનું મુખ્ય કારણ સિટી બસની મુસાફરીના ભાવ પ્રમાણમાં ખૂબ ઓછા હોય છે જેથી મુસાફરો સિટી બસમાં જ મુસાફરીનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ આવી રીતે સીટી બસમાં ઊભા રહીને મુસાફરી કરી શકાય નહીં તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં અને કંડકટરની મનાઈ કરવા છતાં પણ સ્ટેન્ડ પર ઉભેલા મુસાફરો જબરજસ્તીથી સીટી બસમાં ચડી જતા હોય છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાયએ અત્યંત જરૂરી છે.















