![]()
– ગ્રામીણ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે છડેચોક ચેડાં
– આણંદપુર પોલીસે તબીબી ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો શખ્સ પાસેથી દવાનો જથ્થ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર : ચોટીલાના ગુંદા ગામે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા એક બોગસ ડોક્ટરને આણંદપુર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપેલા બોગસ ડોક્ટરોના નેટવર્કને ડામવા આણંદપુર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગુંદા ગામે રાજુભાઈ દુલાલભાઈ ગોલદર નામનો શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. પોલીસે દરોડો પાડી તપાસ કરતા સામે આવ્યું કે આ શખ્સ પાસે કોઈ પણ માન્ય તબીબી પ્રમાણપત્ર નથી, છતાં તે છેલ્લા ૧૩ વર્ષથી એલોપેથી સારવાર આપી રહ્યો હતો.
પોલીસે ક્લિનિકમાંથી રૂ.૩૦૨૬ની કિંમતની એલોપેથી દવાઓ અને તબીબી સાધનોનો જથ્થો કબજે કર્યોે છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શખ્સ ગ્રામજનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી પંથકના અન્ય બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.















