Rahul Gandhi on Gas Crisis: દેશમાં અત્યારે LPG સિલિન્ડરની ભારે અછત સર્જાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. રસોઈ ગેસ ન મળવાને કારણે વિરોધ પક્ષો સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ પીએમ મોદીના ‘કોવિડ જેવી વ્યૂહનીતિ’વાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. સોમવાર, 6 એપ્રિલ 2026ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘પીએમ મોદીએ ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું હતું અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. મોટી જાહેરાતો, શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર.’
અહંકાર નીતિ બને ત્યારે દેશ દાયકાઓ પાછળ જાય છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, ‘રોજનું 500થી 800 રૂપિયા કમાતા શ્રમિકો માટે હવે રસોઈ ગેસ ખરીદવો અશક્ય બન્યો છે, જેના કારણે મજૂરો ફરી એકવાર શહેરો છોડીને ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા છે. ટેક્સટાઈલ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ જે શ્રમિકોના દમ પર ટકેલા છે, તેઓ અત્યારે આ સંકટને કારણે તૂટી રહ્યા છે.’ તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘કૂટનીતિના ટેબલ પર થયેલી ભૂલને કારણે આ સ્થિતિ સર્જાઈ છે જેનો ભોગ હંમેશા ગરીબ જ બને છે.’ રાહુલ ગાંધીના મતે અહંકાર જ્યારે નીતિ બની જાય ત્યારે અર્થતંત્ર પડી ભાંગે છે અને દેશ દાયકાઓ પાછળ ધકેલાઈ જાય છે.
આ પણ વાંચો: LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષથી દેશમાં LPGની અછત
નોંધનીય છે કે ઈઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે દેશના અનેક ભાગોમાં એલપીજીની ભારે અછત જોવા મળી રહી છે. સિલિન્ડર ન મળવાને કારણે અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે હાઈવે પરના ઢાબા અને નાના ભોજનાલયો ચલાવતા લોકોની રોજીરોટી પર સંકટ આવ્યું છે. મોંઘવારી અને ઉદ્યોગો ઠપ થતા પરપ્રાંતીય મજૂરોનું પલાયન સરકાર માટે ચિંતાનો વિષય બન્યું છે.
















