![]()
જામનગર-રાજકોટ હાઇ-વે પર અકસ્માત : નાની નાગાજરમાં ટ્રેક્ટર તળે આવી જતાં બાળકનું મોત : જામનગરમાં કારની ટક્કરે પ્રૌઢનું જ્યારે ટીંબડી પાટિયા નજીક ટ્રેઇલર હડફેટે આધેડનું મોત
જામનગર, : જામનગર-રાજકોટ હાઇ-વે વધુ એક વખત રક્તરંજીત બન્યો છે. ફલ્લાની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતા ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે જામનગર અને કાલાવડ પંથકમાં બનેલા બે અલગ અલગ અકસ્માતોના બનાવમાંત્રણ વર્ષના બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યા છે.
જામનગર-રાજકોટ હાઇ-વે પર નરેશભાઈ ચુડાસમા (રહે.ત્રાંબક, ભાવનગર) પોતાના કેરી વાહનમાં શાકભાજી ભરી જઈ રહ્યા હતા ત્યારે ફલ્લાની ગોળાઇએ વાહનરોડ સાઇડના નાળામાં પલ્ટી ખાઇ જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે ટ્રેક્ટર ચાલક રાજુભાઈ સોલંકીની બેદરકારીથી ચાલતા ટ્રેક્ટર નીચે આવી જતા આશિષ (ઉ.વ. ૩) નામના બાળકનું માથામાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જામનગર શહેરના બેડી રીંગ રોડ પર કારચાલકે બેદરકારીથી કાર હંકારી બાઈકને પાછળથી ટક્કર મારતાં લખમણભાઈ આલાભાઈ કંડોરીયા (ઉ.વ. 56)ને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના ત્રાજપર પાછળ નીલકંઠ સોસાયટીમાં રહેતા ખોડાભાઈ કાનજીભાઈ ધંધાણીયા (ઉ.વ. 52), મનોજભાઈ રાંદલપરા અને સંજયભાઈ દેગામા મોટરસાયકલ પર મોરબી આવતા હતા ત્યારે ટીંબડી પાટિયા પાસે ટ્રક ટ્રેઇલર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા ખોડાભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું, જ્યારે મનોજભાઈ તથા સંજયભાઇને ઇજા થઇ હતી.















