Women Reservation Bill: મહિલા અનામત બિલ પર કેન્દ્ર સરકાર અત્યંત સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે સતત વિપક્ષી દળો પાસેથી સમર્થનની માંગ કરી રહ્યા છે. શનિવારે બંને ગૃહોમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સ(રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, PM મોદીએ રાજકીય પક્ષોને પત્ર લખીને આ બિલ પર સમર્થન માંગ્યું છે. વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો છે.
એક તૃતીયાંશ બેઠકો મહિલા અનામત
આ બિલોનો હેતુ 2029થી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો છે. જો કે PM મોદીના પત્ર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સરકાર રાજકીય ફાયદા માટે મહિલા અનામત કાયદાના અમલીકરણમાં ઉતાવળ કરી રહી છે.
ખડગેએ સત્રના ટાઇમિંગ પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. આ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવું એ ધારણાને બળ આપે છે કે સરકાર રાજકીય ફાયદા માટે મહિલા અનામત કાયદાને લાગુ કરવામાં ઉતાવળ કરી રહી છે. વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં ખડગેએ એ માંગ કરી કે સીમાંકન મુદ્દે ચર્ચા કરવા માટે 29 એપ્રિલ પછી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવે. આ સીમાંકનને નારી શક્તિ વંદન અધિનિયમ, 2023માં સુધારાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.
PM મોદીએ લખ્યો પત્ર
ખડગેનો જવાબ વડાપ્રધાનના એ પત્રના જવાબમાં આવ્યો છે જેમાં તેમણે 16 એપ્રિલથી નારી શક્તિ વંદન અધિનિયમ પર ચર્ચા માટે સંસદના વિશેષ સત્રનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ પોતાના પત્રમાં લખ્યું, ‘ઘણા વિચાર-વિમર્શ પછી, અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે હવે સમગ્ર દેશમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને તેની સાચી ભાવના સાથે લાગુ કરવાનો સમય આવી ગયો છે. એ અત્યંત જરૂરી છે કે 2029ની લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીઓ મહિલાઓ માટે અનામતની સાથે જ કરાવવામાં આવે.’
PM મોદીએ માંગ્યું સમર્થન
આ સાથે જ PM મોદીએ સંકેત આપ્યો કે તેમની સરકાર 16 એપ્રિલથી શરૂ થઈ રહેલા સત્ર દરમિયાન આ બિલોને પાસ કરાવવાની સંપૂર્ણ કોશિશ કરશે. વડાપ્રધાને પોતાના પત્રમાં તમામ પક્ષોને સમર્થનની અપીલ કરતા લખ્યું કે તમારું સમર્થન, આપણા દેશની મહિલાઓ પ્રત્યેની એક મહત્વપૂર્ણ જવાબદારી પૂર્ણ કરવા જેવું હશે. જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ PM મોદી દ્વારા લખવામાં આવેલા પત્ર પર તીખી પ્રતિક્રિયા આપી છે.
સર્વસંમતિથી પસાર કર્યો ત્યારે કેમ લાગુ ન કર્યો?
ખડગેએ કહ્યું કે, ‘મને અત્યારે જ 16 એપ્રિલથી નારી શક્તિ વંદન અધિનિયમ પર ચર્ચા માટે સંસદના વિશેષ સત્રના સંબંધમાં તમારો પત્ર મળ્યો છે. જેવું કે તમે જાણો છો કે નારી શક્તિ વંદન અધિનિયમ, 2023 ને સંસદે સપ્ટેમ્બર 2023 માં સર્વસંમતિથી પસાર કર્યો હતો. તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી મેં માંગ કરી હતી કે આ મહત્વપૂર્ણ કાયદો તાત્કાલિક અસરથી લાગુ થવો જોઈએ. તે સમયે તેના તાત્કાલિક અમલીકરણ માટે વ્યાપક સંમતિ હતી, પરંતુ તેમ છતાં કેન્દ્ર સરકારે તેને લાગુ કર્યો ન હતો.’
આ પણ વાંચો: ટ્રમ્પની ચોંકાવનારી જાહેરાત, ‘હોર્મુઝમાં અમેરિકન નેવીની નાકાબંધી હશે, ઈરાનને ટોલ ચૂકવનારને સુરક્ષા નહીં મળે’
કોંગ્રેસ અધ્યક્ષે કરી સર્વદળીય બેઠકની માંગ
મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું કે ત્યારથી 30 મહિના વીતી ગયા છે અને હવે અમને વિશ્વાસમાં લીધા વિના સંસદની આ વિશેષ બેઠક બોલાવવામાં આવી છે અને તમારી સરકાર સીમાંકન વિશે કોઈ જાણકારી આપ્યા વિના અમારી પાસે ફરીથી સહયોગ માંગી રહી છે. તમે સમજી શકો છો કે સીમાંકન અને અન્ય પાસાઓની વિગતો વિના આ ઐતિહાસિક કાયદા પર કોઈ અર્થપૂર્ણ ચર્ચા કરવી અશક્ય હશે. એટલું જ નહીં, ખડગેએ આ મુદ્દે સર્વદળીય બેઠક બોલાવવાની પણ માંગ ઉઠાવી છે.















