![]()
70 ટકા લોકોમાં વિટામિન ડીની ઉણપ જણાઇ
ભારતમાં નિવારાત્મક આરોગ્ય સંભાળ વધારે અંગત અને ચોકસાઇભરી બનાવવાની જરૂર
નવી દિલ્હી: એક ખાનગી હોસ્પિટલ ચેઇન દ્વારા વિશ્વ આરોગ્ય દિને પ્રકાશિત કરવામાં આવેલાં અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે ભારતમાં દર ત્રણ યુવાનોમાંથી બે યુવાનો પર બિન ચેપી રોગો એટલે કે એનસીડી થવાનું જોખમ રહેલું છે. દેશની નોકરીધંધો કરતી વસ્તીમાંથી લગભગ અડધાં પ્રિ-ડાયાબિટિક જણાયા છે અને દસમાંથી આઠ જણાં વધારે પડતું વજન ધરાવતાં હોવાનું જણાયું છે. આ સર્વેમાં ૩૦ લાખ લોકોને આવરી લઇ નિવારાત્મક આરોગ્ય વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભ્યાસના તારણો દર્શાવે છે કે યુવાનો અને નોકરીધંધો કરતી વસ્તીમાં આરોગ્યના જોખમો દર્શાવતાં પરિબળો મોજૂદ છે. ૩૦ વર્ષથી ઓછી વયના પાંચ જણાંમાં એક જણ પ્રિડાયાબિટિક જણાયો છે. નોંધપાત્ર બાબત એ છે કે વહેલાસર જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો આ સ્થિતિને ઉલટાવવી શક્ય છે. પણ ૩૦ વર્ષથી ઓછી વયના માત્ર ૨૮ ટકા વ્યક્તિઓએ સમયસર જીવનશૈલી બદલી સુગર લેવલને સામાન્ય સ્તરે લઇ આવી શક્યા છે. તેની સામે ૫૦થી વધારે વયના લોકોમાં માત્ર સાત ટકા લોકો જ તેમની જીવનશૈલી બદલવામાં સફળ નીવડયા છે.
સર્વેના ડેટામાંથી જાણવા મળ્યું છે કે નોકરી ધંધો કરતી વસ્તીમાં આરોગ્ય વિષયક જોખમો વ્યાપક જણાયાં છે. સરેરાશ ૩૮ વર્ષની વય ધરાવતાં આ વયજૂથમાં દસમાંથી આઠ જણાં વધારે પડતું વજન ધરાવતાં અને લગભગ અડધાં પ્રિડાયાબિટિક કે ડાયાબિટિસ ધરાવતાં હોવાનું જણાયું છે. જ્યારે દર ચાર જણાંએ એક જણ હાઇ બ્લડ પ્રેશરથી પીડાતો હોવાનું જણાયું છે. આ લક્ષણો દર્શાવે છે કે દેશના ઉત્પાદક વય જૂથમાં ચયાપચયની સમસ્યાઓ વધી રહી છે. હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે વસ્તીના ડેટા, જીવનશૈલી અને આધુનિક નિદાન પદ્ધતિઓનો ઉપયોગ કરી નિવારાત્મક આરોગ્ય સંભાળને વધારે અંગત અને ચોકસાઇભરી બનાવવા પર ભાર મુકવો જરૂરી છે.















