દેશવ્યાપી સાયબર ફ્રોડના કેસમાં ટ્રાન્ઝેક્શનનો આંક રૂા. 2500 કરોડ પર પહોંચ્યો : ત્રણેય આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર : અત્યાર સુધીમાં કુલ 20 આરોપીઓની ધરપકડ
રાજકોટ, : દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં તપાસ કરતી રાજકોટ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ પોલીસે યશ બેંકનાં ત્રણ અધિકારીઓ મૌલિક રામજી કમાણી (રહે. પાતા મેઘપર, તા.કાલાવડ), કલ્પેશ વિઠ્ઠલભાઇ ડાંગરીયા (રહે. કાલાવડ શીતળા, જામનગર) અને અનુરાગ ચંદુભાઇ બાલધા (રહે. જામકંડોરણા)ની ધરપકડ કરી બે દિવસનાં રિમાન્ડ પર લીધા છે.
આ ત્રણેય આરોપીઓમાં એકમાત્ર મૌલિક જ હાલ યશ બેંકમાં નોકરી કરે છે. બાકીનાં બંને આરોપીઓ બીજી બેન્કોમાં નોકરી કરે છે. દેશવ્યાપી આ સાયબર ફ્રોડ અંગે પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં પીઆઇ આર.જે.ગોધમને સોંપવામાં આવી હતી.
શરૂઆતમાં જુદા-જુદા એપીએમસી એકાઉન્ટમાંથી 1500 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. જેમાંથી 23 કરોડ જેવી રકમ સાયબર ફ્રોડની હતી. બાકીની રકમ ગેમિંગ અને જીએસટીનાં ટ્રાન્ઝેક્શનને લગતી હતી. તપાસ દરમિયાન હવે 1500 કરોડનો આંક સીધો 2500 કરોડ સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં 2500 કરોડનાં ટ્રાન્ઝેક્શન કુલ 85 બેંક ખાતાઓમાં થયા હતા.
આ 85 બેંક ખાતાઓમાં 74 કરોડ કરતાં વધુ સાયબર ફ્રોડની રકમ જમાં થઇ હતી. જે આંક હજું વધવાની શક્યતા છે. 74 કરોડનાં સાયબર ફ્રોડ અંગે દેશભરમાંથી કુલ 535 અરજીઓ થયેલી છે. અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમ પોલીસે કુલ 17 આરોપીઓની ધરપકડ કરી હતી. તે સાથે જ પડધરીના મોવિયામાં આવેલી યશ બેંકની શાખાનાં કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ કરી હતી.
તપાસ દરમિયાન જે તે વખતે બેંકની આ શાખામાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતાં મૌલિક, મેનેજર તરીકે નોકરી કરતાં કલ્પેશ અને પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતાં અનુરાગની સંડોવણી ખુલતાં આ ત્રણેયની ગઇકાલે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
સાયબર ક્રાઇમ પોલીસનાં સુત્રોએ જણાવ્યું કે, આ કૌભાંડની તપાસ માટે એક ચાર્ટડ એકાઉન્ટન્ટની નિયુક્તી કરવામાં આવી છે. જેમના દ્વારા 35 જેટલી પેઢીઓ અને તેની સાથે સંકળાયેલાં 85 એકાઉન્ટની તપાસ ચાલું છે. તપાસ દરમિયાન કૌભાંડનો આંક વધે તેવી શક્યતા છે.
રૂા. 1 લાખ ઉપર કેટલું કમિશન મળતું તે અંગે તપાસ બે આરોપીઓ હાલ બીજી ખાનગી બેંકમાં નોકરી કરી રહ્યા છ આરોપીઓએ ગિફ્ટ તરીકે રોકડ અને આઈફોન મેળવ્યા હતો
રાજકોટ, : આરોપી કલ્પેશ ડાંગરીયા અને અનુરાગ બાલધા અગાઉ યશ બેંકની જામકંડોરણાનાં જશાપર આવેલી શાખામાં નોકરી કરતાં હતાં. જ્યાંથી બંનેની મોવિયા શાખામાં બદલી થઇ હતી. જ્યારે ત્રીજા આરોપી મૌલિક કમાણીની સીધી મોવિયા શાખામાં નિયુક્તિ થઇ હતી તેમ સાયબર ક્રાઇમ પોલીસનાં સુત્રોએ જણાવ્યું હતું.
આ સુત્રોએ વધુમાં જણાવ્યું કે, કલ્પેશ હાલ બીજી ખાનગી બેંકની જામનગર સ્થિત શાખામાં જ્યારે અનુરાગ પણ બીજી ખાનગી બેંકની ધોરાજી શાખામાં હાલ ફરજ બજાવે છે. ત્રીજો આરોપી મૌલિક યશ બેંકની મોવિયા શાખામાં જ હાલ ફરજ બજાવી રહ્યો છે. દેશવ્યાપી આ કૌભાંડમાં સામેલ થવા બદલ ત્રણેય આરોપીઓને રોકડ રકમ ઉપરાંત આઇફોન સહિતની ગિફ્ટસ મળી હતી. ત્રણેય આરોપીઓને ખરેખર રૂા. 1 લાખની રકમ ઉપર કેટલું કમિશન મળતું હતું તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.















