Arvind Kejriwal: આમ આદમી પાર્ટી(AAP)માં સર્જાયેલી મોટી બળવાખોરી બાદ હવે પક્ષે કાયદાકીય લડત આપવાની રણનીતિ ઘડી કાઢી છે. રાઘવ ચઢ્ઢા સહિત સાત રાજ્યસભા સાંસદોના ભાજપમાં જોડાવાના દાવા બાદ રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે પક્ષના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ ગુજરાત પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને અડધા કલાક સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં પક્ષમાં પડેલા ભંગાણની અસરો અને ભવિષ્યની રણનીતિ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
બાગી સાંસદોને અયોગ્ય જાહેર કરવા મુખ્ય વ્હીપની માંગ
આ સંકટ વચ્ચે આમ આદમી પાર્ટી હવે રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને બાગી સાંસદો સામે પગલાં લેવાની તૈયારી કરી રહી છે. પક્ષના મુખ્ય વ્હીપ એન.ડી. ગુપ્તા દ્વારા સભાપતિને પત્ર સોંપવામાં આવશે, જેમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદા(Anti-Defection Law) હેઠળ કડક કાર્યવાહી કરવાની અને તેમને અયોગ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવશે. કારણ કે આ ત્રણ નેતાઓ જાહેરમાં ભાજપમાં જોડાયા છે, જ્યારે અન્ય ચાર નેતાઓ હજુ સીધી રીતે સામે આવ્યા નથી.
આ પણ વાંચો: EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ
AAPમાં લાંબા સમયથી ધખતો વિવાદ હવે જાહેરમાં
આ અગાઉ સંજય સિંહે પણ બંધારણની દસમી અનુસૂચિનો હવાલો આપીને આ સાંસદોને ગેરલાયક ઠેરવવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢાએ બે-તૃતીયાંશ સાંસદોના ભાજપમાં વિલયનો દાવો કર્યો છે, જેમાં હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલ જેવા મોટા નામો પણ સામેલ છે. AAPમાં આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો, જે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવ્યા બાદ હવે જાહેરમાં બળવા સ્વરૂપે સામે આવ્યો છે.
















