![]()
મુંબઈ : સમાપ્ત થયેલા સપ્તાહમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય બજારમાં વેચવાલી જળવાઈ રહેતા વર્તમાન એપ્રિલમાં વેચવાલીનો આંક ઈક્વિટી કેશમાં વધી નેટ રૂપિયા ૫૬૩૬૩ કરોડ રહ્યો છે. સમાપ્ત થયેલા સપ્તાહમાં એફઆઈઆઈએ રૂપિયા ૧૭૧૩૮ કરોડની ઈક્વિટીસનું વેચાણ કર્યું હતું. વિદેશી રોકાણકારો સતત વેચવાલ રહ્યા છે જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો સતત લેવાલ રહેતા બજારને ટેકો મળી રહ્યો છે.
ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી રોકાણકારોની ૨૦૨૬માં એકંદર રૂપિયા ૨,૨૬,૯૮૦.૩૭ કરોડની નેટ વેચવાલી રહી હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.
ઈરાન-અમેરિકા યુદ્ધ બાદ ઊભી થયેલી સ્થિતિ વચ્ચે એફઆઈઆઈ ઈક્વિટીસમાં આક્રમક વેચવાલી કરી રહી છે.
ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતાને પરિણામે માર્ચ બાદ એપ્રિલમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ જ રહી છે. એફઆઈઆઈનો ભારતીય બજાર માટેનો વ્યૂહ અમેરિકા તથા ઈરાન વચ્ચે કેવી સ્થિતિ ઊભી થાય છે તેના પર નિર્ભર રહેશે એમ એક બ્રોકિંગ હાઉસના રિપોર્ટમાં જણાવાયું હતું.
આવતા સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વની મળી રહેલી બેઠકના નિર્ણય પણ બજાર માટે નિર્ણયાત્મક બની રહેશે. ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક ૨૮ તથા ૨૯ એપ્રિલના રોજ મળી રહી છે.
ભારતમાંથી નાણાં પાછા ખેંચી વિદેશી રોકાણકારો તાઈવાન તથા કોરિઆ જેવી અન્ય ઊભરતી બજારોમાં નાણાં ઠાલવી રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
૨૦૨૧ના વર્તમાન દાયકામાં ૨૦૨૬ સતત છઠ્ઠુ વર્ષ છે જેમાં વિદેશી રોકાણકારોની નેટ વેચવાલી જોવાઈ રહી છે. વિદેશી રોકાણકારોની સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય ઈક્વિટીસમાં જંગી નાણાં ઠલવાઈ રહ્યા હોવાને કારણે બજારને ટેકો મળી રહ્યો છે.
ઘરેલું સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઈક્વિટી કેશમાં રૂપિયા ૨૯૦૦૮૨.૮૯ કરોડને નેટ ખરીદી રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જેપી મોર્ગન તથા એચએસબીસી જેવી વૈશ્વિક પેઢીઓએ ભારતીય ઈક્વિટીસને તાજેતરમાં ડાઉનગ્રેડ કરી છે ત્યારે આગળ જતા વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી નકારી શકાય એમ નથી.















